Ahmedabad: EDએ કેશવ નારાયણ ગ્રૂપ સામે PMLA હેઠળ 129.80 કરોડની મિલકતો ટાંચમાં લીધી

📅 Published: August 17, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટ અને આકર્ષક રોકાણ યોજનાઓના નામે હજારો રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર કેશવ નારાયણ ગ્રૂપ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED ની અમદાવાદ ઝોનલ ઓફિસે કેશવ નારાયણ ગ્રૂપ, રોનક સોનાણી અને વિપુલભાઈ ગાંગાણી સાથે સંકળાયેલી રૂ. 129. 80 કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે.

કેશવ નારાયણ ગ્રૂપ સામે PMLA હેઠળ કડક એક્શન

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) કે NA (બિન-ખેતી) મંજૂરી મેળવ્યા વિના જ ગેરકાયદેસર આકર્ષક યોજનાઓ લોન્ચ કરી હતી. રોકાણકારોને ટૂંકા સમયમાં 54 ટકા થી 100 ટકા જેટલું અધધ વળતર આપવાની લાલચ આપી તેમની પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લેવાયા હતા. અમદાવાદ શહેરના સેટેલાઇટ, નવરંગપુરા, બોપલ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના 5 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી વિવિધ FIR ના આધારે ED એ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

રોનક સોનાણી અને વિપુલ ગાંગાણીની મિલકતો ટાંચમાં લીધી

ED એ કૌભાંડીઓ દ્વારા રોકાણકારોના નાણાંમાંથી ખરીદાયેલી છારોડી, શેલા અને કડી સ્થિત કરોડોની કિંમતની કિંમતી જમીનો ફ્રીઝ કરી દીધી છે. આરોપીઓએ ‘અક્ષર અનંત’ નામની સ્કીમમાં રોકાણકારો પાસેથી મોટા પાયે ફંડ એકત્રિત કર્યું હતું. ત્યારબાદ પ્રોજેક્ટની મૂળ જમીન ડમી દસ્તાવેજોના આધારે અન્ય ત્રીજી વ્યક્તિઓના નામે ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી દીધી હતી. PMLA ની તપાસમાં સ્પષ્ટ થયું છે કે ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલા નાણાં અન્ય પ્રોપર્ટીમાં ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા, જેના આધારે આ જપ્ત કરવાનો આદેશ કરાયો છે.

આ પણ વાંચો: Kutch: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ હેઠળ રૂ. 32.62 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ, 5 આરોપીઓને જેલભેગા કર્યા



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *