Ahmedabad News: ગુજરાતના સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશેઃ PM મોદી

📅 Published: September 3, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે.ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનારા જાણીતા અને દિગ્ગજ સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે મોડી રાત્રે અવસાન થયું છે.તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ ગુજરાતી કલા અને સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.તેમના નિધન બાદ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક્સ પર પોસ્ટ લખીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

સંગીતકાર ગૌરાંગ વ્યાસના નિધન પર વડાપ્રધાન મોદીની પોસ્ટ

વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરી હતી. તેમણે આ પોસ્ટમાં લખ્યું હતું કે, ગુજરાતી સંગીત જગતના પ્રખ્યાત સંગીતકાર ગૌરાંગ વ્યાસના અવસાનથી અમે ઊંડા દુઃખની લાગણી અનુભવીએ છીએ.પોતાના પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવીને તેમણે ગુજરાતી સંગીત ક્ષેત્રે પોતાનું એક અનોખું પ્રદાન આપ્યું હતું અને તેમનું નિધન થતાં ગુજરાતે એક અદ્ભુત સર્જક ગુમાવ્યા છે. ગુજરાતી સંગીત જગતમાં તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે.દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના અને શોકગ્રસ્ત પરિવારજનો તેમજ તેમના વિશાળ પ્રશંસક વર્ગ પ્રત્યે મારી ઊંડી સંવેદના…ઓમ શાંતિ…!!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક્સ પર પોસ્ટ લખી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સપર લખ્યું હતું કે,ગુજરાતી સંગીત જગતના ખ્યાતનામ સંગીતકાર ગૌરાંગ વ્યાસજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.ગુજરાતી સિનેમા, સુગમ સંગીત અને લોકસંગીત ક્ષેત્રે તેમણે આપેલું અમૂલ્ય યોગદાન સદાય સ્મરણીય રહેશે. સંગીતના સમૃદ્ધ વારસાને આગળ ધપાવીને તેમણે સર્જેલી કર્ણપ્રિય સુરાવલીઓ સંગીતપ્રેમીઓના હૃદયમાં હંમેશાં જીવંત રહેશે. તેમના નિધનથી ગુજરાતના કલા-સંગીત જગતને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનો તથા અસંખ્ય પ્રશંસકોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

ગુજરાતી કલા અને સાહિત્ય જગતને મોટી ખોટ પડી

ગૌરાંગ વ્યાસના નિધનથી માત્ર સંગીત ક્ષેત્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી કલા અને સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે. સ્થાનિક કલાકારો, ગાયકો, નિર્માતાઓ અને સંગીતપ્રેમીઓએ તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સંગીત અને ફિલ્મ ક્ષેત્રના લોકોના જણાવ્યા પ્રમાણે ગૌરાંગ વ્યાસની વિદાય એ ગુજરાતી સંગીતની એક સુવર્ણ યુગનો અંત છે અને તેમની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી.તેમનું સંગીત અને તેમની મધુર રચનાઓ હંમેશા સંગીત પ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે. ગૌરાંગ વ્યાસે તેમની સંગીત કારકિર્દી દરમિયાન ‘લાખ લાખ દિવડા’,’ઘોર અંધારી રે રાતલડીમાં’ જેવા લોકપ્રિય ગરબા, ‘દીકરી તો પારકી થાપણ’ જેવા ફિલ્મી ગીતો અને ‘તુ રંગાઈ જાને રંગમાં’ જેવા ભજનોમાં અદ્ભુત સ્વરાંકન કર્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: લતા મંગેશ્કર અને આશા ભોંસલેને ગુજરાતી ગીતો ગવડાવનાર સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *