એક તરફ તો અમદાવાદમાં જે લોકો પાસે વાહનની સગવડ નથી એવા લોકો જો એ.એમ.ટી.એસ.બસમાં મુસાફરી કરવા ઈચ્છે તો તેમને ઘણો સમય રાહ જોયા પછી પણ બસ મળતી નથી.ત્યારે એક વર્ષના સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં યોજવામાં આવેલા સરકારી કાર્યક્રમોમાં 10655 બસની વર્ધી ફાળવી દેવામાં આવતાં મુસાફરો ત્રાહિમામ બન્યા હતા.
360 કરોડથી વધુની રકમ લોન પેટે આપે છે
હવે ખેલ એવો પડાયો કે આ બસો વર્ધીમાં એએમસીને અપાઈ હતી જે પેટે રૂપિયા 11.64 કરોડથી વધુની લહેણી નીકળતી રકમ એ.એમ.ટી.એસ. બસો દોડતી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે જે રૂપિયા 360 કરોડથી વધુની રકમ લોન પેટે આપે છે તે પેટે વાળી લેવાઈ.અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન એક સિક્કાની બે બાજુ જેવા છે.
પાંચ હજાર કરોડથી પણ વધુ રકમ આપવામાં આવી
શહેરીજનો વચ્ચે બસો દોડતી રાખવા છેલ્લા વીસ વર્ષની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને લોન પેટે રૂપિયા પાંચ હજાર કરોડથી પણ વધુ રકમ આપવામાં આવી છે. સ્વાભાવિક જ આ કારણથી એ.એમ.ટી.એસ.ના અધિકારીઓ પહેલી પ્રાથમિકતા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપે, પરંતુ અમદાવાદમાં એ.એમ.ટી.એસ. બસમાં મુસાફરી કરવા માંગતા લોકોને આપવાની થતી બસોની વર્ધી સરકારી કાર્યક્રમોમાં ફાળવી દેવામાં આવે એ કેટલા અંશે યોગ્ય છે?
