આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા લક્કડપુરા ગામે તંત્રની ભારે બેદરકારી સામે આવી છે. સમગ્ર પેટલાદ પંથકમાં ગત દિવસોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે લક્કડપુરા ગામના સીમ વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે, વરસાદ બંધ થયાને 15 દિવસ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં, સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.
200 વીઘાથી વધુ જમીનમાં ઘૂંટણસમા પાણી
તંત્રની ઘોર નિષ્ક્રિયતાના પરિણામે લક્કડપુરા ગામની 200 વિઘાથી પણ વધુ ખેતીલાયક જમીનમાં આજે પણ 15 દિવસ બાદ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખેતરો સરોવરમાં ફેરવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેના કારણે ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ શકે તેવી સ્થિતિ પણ રહી નથી.

ડાંગર અને શાકભાજીનો પાક સંપૂર્ણ નષ્ટ
વરસાદી પાણી સતત 15 દિવસ સુધી ભરાયેલા રહેવાના કારણે ખેડૂતોએ ભારે મહેનત અને મૂડીરોકાણ કરીને વાવેલો પાક સંપૂર્ણપણે કોહવાઈ ગયો છે. ખેડૂતો દ્વારા ખેતરોમાં ડાંગર અને વિવિધ શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. પાક સડી જતાં ખેડૂતોને લાખ્ખો રૂપિયાનું આર્થિક નુકસાન સહેવાનો વારો આવ્યો છે.

તંત્ર સામે આક્રોશ અને સરકારી સહાયની માગ
સમયસર પાણીનો નિકાલ ન કરાતાં સ્થાનિક ખેડૂતોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. ખેડૂતોની માગણી છે કે, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પંપિંગ અથવા અન્ય માધ્યમોથી પાણીનો નિકાલ કરવામાં આવે. આ ઉપરાંત, કુદરતી આફત અને તંત્રની લાપરવાહીથી થયેલા ભારે નુકસાનનો ત્વરિત સરવે કરી સરકાર દ્વારા યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે.

આ પણ વાંચો – Anand: સરગી ગામથી બાવનગજની ધજા સાથે હનુમાન ભક્તોનું ઝંડ ખાતે પ્રસ્થાન
