ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરઆંગણે આવેલી ખુલ્લી ગટરમાં 2 વર્ષનો માસૂમ વિહાન ખાબકી ગયો હતો. કલાકો સુધી શોધખોળ કર્યા બાદ માસૂમનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કલાકોની શોધખોળ બાદ મળ્યો મૃતદેહ
માસૂમ ગટરમાં ખાબક્યાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી. લાંબી શોધખોળ બાદ વિહાનનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતો. તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું.
રિક્ષા બાદ 108 મારફતે CHC લઈ જવાયો
માસૂમને પ્રથમ રિક્ષા મારફતે અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી આમોદ CHC ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે, તબીબોના પ્રયાસો છતાં વિહાનને બચાવી શકાયો નહોતો.
ખુલ્લી ગટર અને સ્ટ્રીટ લાઇટના અભાવે તંત્ર સામે રોષ
ગામમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ હોવાના કારણે અંધારામાં ખુલ્લી ગટર વધુ જોખમી બની હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ઘરઆંગણે ખુલ્લી ગટર હોવા છતાં તેના પર ઢાંકણું કેમ ન મૂકાયું અને જવાબદારી કોની હતી તેવા સવાલો ઉઠી રહ્યા છે.
માસૂમના મોત બાદ તંત્ર ક્યારે જાગશે?
સ્થાનિકોમાં સવાલ છે કે ખુલ્લી ગટર અંગે અગાઉથી કોઈ ફરિયાદ કરવામાં આવી હતી કે નહીં અને જો હતી તો કાર્યવાહી કેમ ન થઈ? સ્ટ્રીટ લાઇટ અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓની જાળવણીમાં બેદરકારીના ગંભીર આક્ષેપો વચ્ચે હવે તંત્ર જવાબદાર સામે શું પગલાં લે છે તે જોવાનું રહેશે. ઘટનાને પગલે મછાસરા ગામમાં શોક સાથે તંત્ર સામે રોષનો માહોલ છે.
આ પણ વાંચો : Kanpur : કરોડપતિ દવા વેપારીની હત્યામાં સનસનીખેજ ખુલાસો, વહુએ ગૂગલ પર શોધ્યું- હત્યાને આત્મહત્યા કેવી રીતે દેખાડવી?
