ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક મહત્વપૂર્ણ કડી સામે આવી છે. ડુપ્લિકેટ દારૂ તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન યોગ્ય રીતે દારૂ તૈયાર ન થતાં તેનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. હવે આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તે ભાલના પાળિયાદ ગામના સીમ વિસ્તારમાં આવેલા અવાવરુ સ્થળના દ્રશ્યો સામે આવ્યા છે.
ગૌતમ સોલંકી, રઈસ અને અન્ય વ્યક્તિઓએ મળીને બનાવટી દારૂ તૈયાર કર્યો
પ્રાપ્ત વિગતો મુજબ, પ્રથમ વખત ગૌતમ સોલંકી, રઈસ અને અન્ય વ્યક્તિઓએ મળીને બનાવટી દારૂ તૈયાર કર્યો હતો. જોકે આ દારૂ યોગ્ય રીતે તૈયાર ન થતાં તેનો ઉપયોગ કે વેચાણ કરવાને બદલે જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

અવાવરુ સ્થળે કેમિકલ અને ડુપ્લિકેટ દારૂના જથ્થાનો નાશ
પાળિયાદ ગામના સીમ વિસ્તારમાં આવેલા અવાવરુ સ્થળે કેમિકલ અને ડુપ્લિકેટ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સ્થળ જતીનના ઘર સાથે જોડાયેલી કડી તરીકે પણ તપાસમાં મહત્વપૂર્ણ બન્યું છે. જ્યાં કેમિકલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, તે સ્થળના દ્રશ્યો હવે સામે આવતા લઠ્ઠાકાંડની તપાસને નવી દિશા મળી શકે છે.
અલગ-અલગ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો
આ સમગ્ર કૌભાંડમાં શરૂઆતથી જ બનાવટી દારૂ તૈયાર કરવા માટે અલગ-અલગ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રથમ તૈયાર કરાયેલ દારૂ યોગ્ય ન બનતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજી વખત ડુપ્લિકેટ દારૂ તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

કેમિકલનો જથ્થો ક્યાંથી લવાયો તે સવાલ
પાળિયાદના આ અવાવરુ સ્થળના દ્રશ્યો સામે આવ્યા બાદ હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી શકે છે કે કેમિકલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો અને બીજી વખત બનાવવામાં આવેલા ડુપ્લિકેટ દારૂનું નેટવર્ક ક્યાં સુધી પહોંચ્યું હતું.
અત્યાર સુધી 8 લોકોના મોત
હાલ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને તપાસ સતત આગળ વધી રહી છે અને ડુપ્લિકેટ દારૂના ઉત્પાદનથી લઈને તેના નાશ અને સપ્લાય સુધીની તમામ કડીઓ જોડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આ પણ વાંચો : Live Bhavnagar લઠ્ઠાકાંડ : મૃતકના શરીરમાં 200 એમએલથી વધુ મિથેનોલ મળ્યું
