બિહારના બેગુસરાયમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ફરી સનસનાટી ફેલાઈ છે. લાખો પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાહપુર ટોલ પ્લાઝા અને ઇનિયાર વચ્ચે NH-31થી આશરે 20થી 30 ફૂટ નીચે ઝાડીઓમાંથી 28થી 30 વર્ષની મહિલાની લાશ મળી આવી હતી. મૃતદેહમાંથી દુર્ગંધ આવતાં રાહદારીઓએ નીચે જઈ તપાસ કરી હતી.
FSL ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા
માહિતી મળતાં સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી અને FSL ટીમને પણ બોલાવવામાં આવી હતી. FSL દ્વારા સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.
હાથ પર ‘પ્રીતિ’ નામનું ટેટૂ
મહિલા સલવાર-કમીઝ પહેરેલી હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતદેહ 2થી 3 દિવસ જૂનો હોવાનું અનુમાન છે. મહિલાના એક હાથ પર ટેટૂથી ‘પ્રીતિ’ લખેલું છે, જ્યારે બીજા હાથ પર ઈજાનું નિશાન મળ્યું છે. સ્થાનિક લોકોની મદદથી ઓળખ કરવાનો પ્રયાસ થયો, પરંતુ હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.
પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે
પોલીસે મીડિયાને જણાવ્યું કે મહિલાના મોતનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. મહિલાની હત્યા અન્યત્ર કરીને મૃતદેહ અહીં ફેંકાયો હતો કે ઘટના સ્થળ પર જ બની હતી, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસે તાજેતરમાં નોંધાયેલી મહિલાઓની ગુમશુદગીની ફરિયાદો સાથે મૃતદેહનો મેળ બેસાડવાનું શરૂ કર્યું છે.
8 દિવસમાં 3 અજાણી મહિલાઓના મૃતદેહ
આ ઘટનાના થોડા દિવસો પહેલાં 8 સપ્ટેમ્બરે તેઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધારપુર બાંધ નજીક અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ 15 સપ્ટેમ્બરે પિઢૌલી પંચાયતના બાંધ નજીક 22 વર્ષની યુવતીની લાશ મળી હતી. બંને કેસમાં પણ હત્યા બાદ મૃતદેહ ફેંકાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
પોલીસ તંત્રમાં દોડધામ
આ રીતે 8 દિવસમાં 3 અજાણી મહિલાઓના મૃતદેહ મળતાં પોલીસની ચિંતા વધી છે. જોકે ત્રણેય ઘટનાઓ વચ્ચે કોઈ સત્તાવાર કડી છે કે નહીં અને મોતનું ચોક્કસ કારણ શું છે, તે હજુ તપાસનો વિષય છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત
