Chhota Udepur : સંખેડામાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર, પાણી પીવાના બહાને પહેલા માળેથી છટકી ગયો, પોલીસ દોડતી રહી

📅 Published: September 10, 2026 | 📂 Category: Crime

છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી નાસી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કોર્ટમાંથી ફિંગરપ્રિન્ટ લેવા માટે આરોપીને સંખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ સ્ટેશનના પહેલા માળેથી પાણી પીવા જવાના બહાને આરોપી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.

કોર્ટમાંથી પોલીસ સ્ટેશન લવાયો, પણ પછી શું થયું?

મળતી માહિતી મુજબ, સંખેડા પોલીસે આરોપી રાકેશભાઈ પ્રવીણભાઈ તડવીને કોર્ટમાંથી ફિંગરપ્રિન્ટની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લાવ્યો હતો. પોલીસ સ્ટેશનના પહેલા માળે આરોપીએ પાણી પીવા જવાની વાત કરી હતી. આ દરમિયાન તકનો લાભ લઈ તે પોલીસની નજરમાંથી છટકી નાસી ગયો હતો.

આરોપી ફરાર થતાં સમગ્ર જિલ્લામાં દોડધામ

આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આરોપીને શોધવા માટે જિલ્લાભરની પોલીસને દોડતી કરવામાં આવી હતી. જોકે, લાંબી શોધખોળ છતાં રાકેશભાઈ તડવી હાથ લાગ્યો ન હોવાનું જાણવા મળે છે.

જે આરોપી પર લૂંટનો આરોપ, તે પોલીસ કસ્ટડીમાંથી જ કેવી રીતે છટક્યો?

નાસી છૂટેલો આરોપી ગામના ડેપ્યુટી સરપંચ પાસેથી રૂ.2,000ની લૂંટ કર્યાના આરોપમાં પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહ્યો હતો. હવે પોલીસ કસ્ટડીમાંથી જ આરોપી ફરાર થઈ જતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

અંતે પોલીસે જ ફરિયાદ નોંધાવી

આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હોવા છતાં તે ઝડપાયો નહીં. અંતે સંખેડા પોલીસે નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ અલગથી ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ સ્ટેશનમાંથી આરોપી કઈ રીતે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો અને ફરજ પર રહેલા પોલીસકર્મીઓની બેદરકારી હતી કે કેમ?  

આ પણ વાંચો  :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *