Festival Effect: દિવાળી-છઠ્ઠનો પ્રવાસ બન્યો મોંઘો! ટ્રેનમાં સીટ નહીં, ફ્લાઇટ ટિકિટના ભાવ દોઢથી બમણાં

📅 Published: September 9, 2026 | 📂 Category: Business

તહેવારોને હજુ સમય હોવા છતાં અનેક લોકપ્રિય ટ્રેનોમાં બેઠકો પહેલેથી જ ફુલ થઈ ગઈ છે. બુકિંગ શરૂ થયાના થોડા જ મિનિટોમાં ટિકિટો વેચાઈ જતાં હવે મોટાભાગના મુસાફરોને વેઇટિંગ લિસ્ટનો સહારો લેવો પડી રહ્યો છે. કેટલીક ટ્રેનોમાં તો વેઇટિંગ લિસ્ટની ટિકિટ પણ ઉપલબ્ધ નથી.

લોકપ્રિય ટ્રેનોમાં તહેવારોની તારીખોની આસપાસ બેઠકો ઉપલબ્ધ નથી

દિલ્હીથી પટણા, વારાણસી, દરભંગા,જનતાનગર, પ્રયાગરાજ અને રાંચી જેવા શહેરો તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ માંગ જોવા મળી રહી છે. સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ, અમૃત ભારત એક્સપ્રેસ, મગધ એક્સપ્રેસ, કાશી વિશ્વનાથ એક્સપ્રેસ, શિવ ગંગા એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ અને વંદે ભારત જેવી લોકપ્રિય ટ્રેનોમાં તહેવારોની તારીખોની આસપાસ બેઠકો ઉપલબ્ધ નથી.

ગયા વર્ષની સરખામણીએ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની તૈયારી 

દિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને ગામમાં તહેવાર ઉજવવા માટે દિલ્હી અને અન્ય મોટા શહેરોમાંથી ઘરે પરત ફરે છે. ખાસ કરીને બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશ તરફ જતાં રૂટ પર ભારે ભીડ રહેતી હોવાથી મુસાફરો બે મહિના પહેલાંથી જ ટિકિટ બુક કરાવવાનું શરૂ કરી દે છે. જે લોકોને નિયમિત ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળી નથી, તેમના માટે હવે સ્પેશિયલ ટ્રેનો મુખ્ય વિકલ્પ બની રહી છે.

રેલવે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ગયા વર્ષની સરખામણીએ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહ્યું છે. ગયા વર્ષે તહેવારો દરમિયાન ઉત્તર રેલવે દ્વારા આશરે 5,400 ફેરા ચલાવવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે આ સંખ્યા લગભગ 6,000 સુધી પહોંચી શકે છે. અત્યાર સુધીમાં અનેક સ્પેશિયલ ટ્રેનના લગભગ 600 ફેરાની જાહેરાત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

વારાણસી, અયોધ્યા કેન્ટ, પટણા, દરભંગા, બરૌણી, સહરસા, પ્રયાગરાજ, જોગબની અને ભાગલપુર જેવા સ્થળો માટે સૌથી વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની યોજના છે. આ ટ્રેનો ઓક્ટોબરના મધ્યથી ડિસેમ્બરના મધ્ય સુધી મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવશે.

બીજી તરફ, ટ્રેનમાં ટિકિટ ન મળવાનો સીધો ફાયદો હવે એરલાઇન્સ કંપનીઓને મળી રહ્યો છે. દિવાળીની આસપાસ અનેક રૂટ પર હવાઈ ભાડાં પહેલેથી જ દોઢથી બે ગણાં સુધી વધી ગયા છે. છઠ્ઠ પર્વ નજીક આવતા ભાડાંમાં હજુ વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર, સૌથી વધુ માગ ધરાવતા રૂટની ઓળખ કરીને સતત સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી રહી છે. જોકે મુસાફરોને સલાહ આપવામાં આવી રહી છે કે તહેવારો દરમિયાન મુસાફરીનું આયોજન વહેલું કરે અને ઉપલબ્ધ ટિકિટ અથવા સ્પેશિયલ ટ્રેનની માહિતી સમયસર તપાસતા રહે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *