ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવાની દિશામાં ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ એક મોટું અને કડક અભિયાન હાથ ધર્યું છે. પોલીસે PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) ની ટીમને સાથે રાખીને ખારીરોહ ગામમાં ઓચિંતી સઘન તપાસ ઝુંબેશ યોજી હતી.
ગાંધીધામમાં અસામાજિક તત્વો પર પોલીસનો સપાટો
આ ખાસ ઓપરેશન દરમિયાન ચોરી, લૂંટ, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ (બુટલેગિંગ/તોફાન) જેવા ગંભીર અને અસામાજિક ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોના રહેણાંક મકાનોને નિશાન બનાવી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસના આ અણધાર્યા પગલાથી ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં ભારે ભય અને સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસ અને વીજ કંપનીના સંયુક્ત ચેકિંગ દરમિયાન બહાર આવ્યું હતું કે ગંભીર ગુનાઓમાં આરોપી એવા ઈસમો પોતાના મકાનોમાં ગેરકાયદેસર રીતે વીજ લાઈનો પરથી ડાયરેક્ટ લંગરિયા નાખીને વીજ ચોરી કરી રહ્યા હતા.
ગુનેગારોના 31 ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખ્યા
PGVCL ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આવા 31 મકાનોના ગેરકાયદેસર વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખ્યા હતા. આ ઉપરાંત, વીજ ચોરી કરવા બદલ આરોપીઓને રૂ. 4 લાખથી વધુનો આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પોલીસ તંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓ સામે આવી કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.
