Gujarat Weather News: બંગાળની ખાડી અને સૌરાષ્ટ્ર તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, યલો એલર્ટ જાહેર કરાયું

📅 Published: September 10, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે.રાજ્યમાં હાલમાં 19 ટકા વરસાદની ઘટ ચાલી રહી છે ત્યારે આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.આગામી 11 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે અને રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમો સક્રિય થવાને કારણે મેઘરાજા ફરી મહેરબાન થશે.આ નવા વરસાદી માહોલની અસરો રૂપે આગામી 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.ત્યારબાદ 13 સપ્ટેમ્બરે રાજ્યના 21 જિલ્લાઓમાં અને 14 સપ્ટેમ્બરે 18 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે.

સુરતમાં લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું 

લાંબા વિરામ બાદ આગામી 12થી 14 સપ્ટેમ્બર સુધી મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.બંગાળની ખાડી અને સૌરાષ્ટ્ર તરફ સર્જાયેલા અપર એર સક્યુલેશનને કારણે સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.વરસાદની આગાહી વચ્ચે વીતેલા બે દિવસથી ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.બુધવારે પણ સવારે 10 વાગ્યાની આસપાસ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા.ટૂંક સમયમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેવું વાતાવરણ છવાયા બાદ થોડીવારમાં ઉઘાડ નીકળી ગયો હતો.બુધવારે સુરતનું મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને સાંજે 72 ટકા રહ્યું હતું.તેમજ પ્રતિકલાક સરેરાશ 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.

12 અને 13 સપ્ટેમ્બરે આ વિસ્તારોમાં વરસાદ થશે

 12 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.તારીખ 13 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના પંથકમાં મેઘરાજા મહેરબાન રહેશે.અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડવાની ખાસ આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. માત્ર મુખ્ય ભૂમિ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના પંથકમાં પણ બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવ જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે.

14 સપ્ટેમ્બરે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના

14 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.દરિયાકાંઠે સર્જાનારી સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: સોમનાથ અને અંબાજી સહિતના સર્કિટ હાઉસ ખાનગી પાર્ટીને સોંપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *