Defense Minister રાજનાથ સિંહે મંગળવારે ભારતની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાને લઈને મોટું નિવેદન આપ્યું. શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે છેલ્લા 10-12 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાનું કદ લગભગ બમણું થયું છે. હાલમાં દેશનો GDP ગ્રોથ આશરે 7.8 ટકા છે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. વૈશ્વિક આર્થિક વિકાસમાં ભારતનો ફાળો 16 ટકાથી વધુ છે. તેમણે કહ્યું કે સતત મજબૂત થતી અર્થવ્યવસ્થાના કારણે ભારતે આ સ્થાન હાંસલ કર્યું છે.
10-12 વર્ષમાં અર્થવ્યવસ્થા બમણી
રક્ષા મંત્રીએ કહ્યું કે, આઝાદી બાદ ભારતની અર્થવ્યવસ્થાને 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં લગભગ 60 વર્ષ લાગ્યા હતા. વર્ષ 2014માં દેશની અર્થવ્યવસ્થાનું કદ આશરે 2 ટ્રિલિયન ડોલર હતું. ત્યારબાદ છેલ્લા 10-12 વર્ષમાં તે લગભગ બમણું થયું છે. તેમણે કહ્યું કે વિશ્વના અનેક દેશો આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારતનો GDP ગ્રોથ આશરે 7.8 ટકા છે.
મોંઘવારી અંગે રાજનાથ સિંહનું નિવેદન
રાજનાથ સિંહે મોંઘવારીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના છેલ્લા 12 વર્ષમાં સરેરાશ મોંઘવારી દર લગભગ 4.7 ટકા રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન મોંઘવારી 10થી 11 ટકા સુધી પહોંચી હતી. તેમણે કહ્યું કે, રોકાણ અને નિકાસના ક્ષેત્રમાં ભારતની વૈશ્વિક ભાગીદારી સતત વધી રહી છે. વર્ષ 2014માં ભારતની નિકાસનું મૂલ્ય આશરે ₹45 લાખ કરોડ હતું, જે વર્ષ 2025-26માં વધીને ₹79 લાખ કરોડ થયું છે.
38 દેશો સાથે ટ્રેડ ડીલ્સ
રક્ષા મંત્રીએ કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં ભારતે 38 દેશો સાથે ટ્રેડ ડીલ્સ કરી છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ‘મધર ઑફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવી રહ્યું છે. આ કરારથી આશરે 27 ટ્રિલિયન ડોલરના મોટા EU માર્કેટમાં ભારત માટે તકો વધશે. રાજનાથ સિંહે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીનો દર 18.4 ટકાથી ઘટીને 2022-23માં 2.8 ટકા થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબી 10.7 ટકાથી ઘટીને 1.1 ટકા થઈ છે. તેમણે કહ્યું કે છેલ્લા 10-12 વર્ષમાં ભારતમાં મોટી ડિજિટલ ક્રાંતિ થઈ છે. આજે સ્માર્ટફોન દ્વારા લોકોને અનેક સેવાઓ સરળતાથી મળી રહી છે. વર્ષ 2014માં દેશમાં લગભગ 6 કરોડ બ્રોડબેન્ડ કનેક્શન હતા, જે હવે વધીને લગભગ 100 કરોડ થઈ ગયા છે.
આ પણ વાંચો: ‘આતંકવાદના આકાઓ સુધી સિંધુ નદીનું પાણી નહીં પહોંચે’ : રક્ષામંત્રી રાજનાથ સિંહ
