દેશભરમાં ત્રીજા ‘નેશનલ સ્પેસ ડે’ની ભવ્ય ઉજવણી વચ્ચે ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ચેરમેન ડો. વી. નારાયણનનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ઈસરોએ ચંદ્રયાન મિશન સહિત અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી દેશનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. ભવિષ્યમાં પણ ઈસરો અવકાશ ક્ષેત્રે નવી ઊંચાઈઓ આંબવા માટે સતત કાર્યરત રહેશે. આ ઉજવણીના અવસરે તેમણે ગીર સોમનાથના કોડીનારમાં સ્પેસ પાર્ક બનાવવાની મંજૂરી આપવામાં આવી હોવાની મહત્વની જાહેરાત કરી હતી.
સ્પેસ સેક્ટરના વિકાસને મળશે નવો વેગ
કોડીનારમાં મંજૂર થયેલા આ સ્પેસ પાર્ક અંગે વાત કરતા ડો. વી. નારાયણણે ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટથી દેશના સ્પેસ સેક્ટરને એક નવી દિશા અને મોટો વિકાસ મળશે. આ સ્પેસ પાર્ક માત્ર સંશોધન માટે જ નહીં પરંતુ યુવાનોમાં વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે રસ-રુચિ વધારવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ પગલું ગુજરાત સહિત સમગ્ર દેશ માટે સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મોટો માઇલસ્ટોન સાબિત થશે.
ખાનગી કંપનીઓને રોકેટ અને સેટેલાઇટ બનાવવાની મંજૂરી
ઈસરોના ચેરમેને સ્પેસ સેક્ટરમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી પર ભાર મૂકતા જણાવ્યું કે, સરકારની નવી પોલિસી મુજબ હવે ખાનગી કંપનીઓને પણ રોકેટ અને સેટેલાઇટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ખાનગી ક્ષેત્રના પ્રવેશથી ઈસરોની પોતાની ક્ષમતાઓ અને વિકાસને પણ અભૂતપૂર્વ વેગ મળશે. સ્પેસ સેક્ટરમાં ખાનગી કંપનીઓ જોડાયા બાદ કામકાજમાં વધુ ઝડપ આવશે અને દેશને અવકાશ સંશોધનના ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને મદદ ઝડપથી મળી શકશે.
