કચ્છના વિશ્વપ્રસિદ્ધ બન્ની વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અગત્યની અને નવી શરૂઆત થઈ છે. બન્નીના ઘાસિયા મેદાન (ગ્રાન્ડ લેન્ડ) ખાતે ચિત્તા સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત કુદરતી ઇકો સિસ્ટમને વધુ મજબૂત કરવાના હેતુથી વન વિભાગ દ્વારા 20 કાળિયારને સફળતાપૂર્વક મુક્ત કરવામાં આવ્યા છે.
20 કાળિયારને અત્યંત સુરક્ષિત રીતે બન્ની ખાતે લાવવામાં આવ્યા
જામનગર સ્થિત ‘વનતારા’ ફેસિલિટીમાંથી ખાસ એમ્બ્યુલન્સ વાન મારફતે આ 20 કાળિયારને અત્યંત સુરક્ષિત રીતે બન્ની ખાતે લાવવામાં આવ્યા હતા. વન વિભાગ અને વનતારાની સંયુક્ત ટીમ દ્વારા જરૂરી તબીબી ચકાસણી અને હેલ્થ સ્ક્રીનિંગ પૂર્ણ કર્યા બાદ તેમને કુદરતી આવાસમાં છોડાયા હતા. આ 20 કાળિયારમાં 5 નર અને 15 માદા કાળિયારનો સમાવેશ થાય છે.

તમામ કાળિયાર પર સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા
બન્નીમાં છોડાયેલા તમામ કાળિયાર પર સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા છે, જેથી તેમની દૈનિક હિલચાલ અને આરોગ્યની સ્થિતિ પર સતત રેકોર્ડિંગ અને દેખરેખ રાખી શકાય.
સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની પણ રચના
આ ઉપરાંત, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. ચિત્તાના સંવર્ધન માટે તૃણાહારી પ્રાણીઓની હાજરી અનિવાર્ય હોવાથી આ કાળિયારનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે, જેનાથી આગામી સમયમાં બન્નીમાં ચિત્તાના આગમનનો માર્ગ વધુ મોકળો થયો છે.
આ પણ વાંચો : Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન
