નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ઉનાઈ ગામમાં કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે યોજાયેલા દહીહાંડી ઉત્સવ દરમિયાન એક અત્યંત શરમજનક અને આસ્થાને ઠેસ પહોંચાડતી ઘટના સામે આવી છે. ધાર્મિક પર્વ જન્માષ્ટમી દરમિયાન દહીહાંડીની મટકી સાથે અમુક ટીખળખોરોએ દારૂની બોટલો લટકાવી દીધી હતી. પવિત્ર તહેવાર પર આવી હરકત થતાં સ્થાનિક લોકો અને હિન્દુ સમાજની લાગણી ગંભીર રીતે દુભાઈ હતી.
વીડિયો અને તસવીરો વાયરલ થતાં મચ્યો હોબાળો
દહીહાંડી સાથે દારૂની બોટલો લટકાવેલી હોવાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યા હતા. ધાર્મિક ઉત્સવની મર્યાદા અને આસ્થા સામે સવાલો ઉભા કરતી આ તસવીરો સામે આવતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મામલો ઉગ્ર બનતા વાંસદા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.

વાંસદા પોલીસે 3 ઈસમોને જેલભેગા કર્યા
વાયરલ વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરીને વાંસદા પોલીસે આ કૃત્ય આચરનાર 3 શખ્સોની ઓળખ કરી લીધી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ત્રણેય ટીખળખોર ઈસમોની ધરપકડ કરી લીધી છે. આ મામલે ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ધાર્મિક મર્યાદા જાળવવા પોલીસની અપીલ
ગાંધીના ગુજરાતમાં એકતરફ દારૂબંધી છે, ત્યારે ધાર્મિક પ્રસંગોમાં આ પ્રકારે દારૂનું પ્રદર્શન કરીને આસ્થા સાથે ચેડાં કરનારા તત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે. પોલીસે પણ ઉત્સવો દરમિયાન મર્યાદા જાળવી રાખવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચાડવા કડક સૂચના આપી છે.

આ પણ વાંચો – Navsari News : ‘ટીબી મુક્ત નવસારી’ અભિયાન હેઠળ 780 દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું
