મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે 48 ઉપર વડોદરાથી ભરૂચ વચ્ચે 6 નેરોગેજ બ્રિજને પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરા નજીક 4 બ્રિજનો સમાવેશ થાય છે. આ ચારેય બ્રિજની કામગીરી 90% જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. આગામી સમયમાં બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકાશે. આ બ્રિજને પહોળા કરવાથી ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ આવશે. ગડકરી 2023માં જાહેરાત કરી અને બે વર્ષથી કામગીરી ચાલતી હતી
વડોદરા-સુરત કોરિડોર પર બ્રિજ અને હાઇવે વાઇડનિંગ સંબંધિત પ્રોજેક્ટ માટેની ટેન્ડરિંગ, ડિઝાઇનીંગ અને પ્રારંભિક પ્રોજેક્ટ મંજૂરી મેળવ્યા બાદ NHAIએ જાન્યુઆરી 2024માં સત્તાવાર યોજનાકીય ખર્ચ મંજૂર કરીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વડોદરાના વેમાલી, જાંબુવા, પોર અને બામણગામ ખાતે સાંકડા પુલ પહોળા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કેન્દ્રીય મિનિસ્ટર નીતિન ગડકરી 2023માં નવા ફ્લાયઓવર અને સર્વિસ રોડ અને દુમાડ ક્રોસરોડ્સ પર એક રેમ્પ અને દેના ક્રોસરોડ્સ પર એક ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા, ત્યારે આ બ્રિજને પહોળા કરવાની જાહેરાત કરી હતી. સાંકડા ઓવરબ્રિજ પર ટ્રાફિકની ભારે સમસ્યા
વડોદરા અને તેની આસપાસ મોટા ઔદ્યોગિક એકમો હોવાને કારણે દરરોજ નોંધપાત્ર સંખ્યામાં લોકો અવરજવર કરે છે, જેના કારણે ખાસ કરીને સાંકડા ઓવરબ્રિજ પર ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે. પહોળા હાઇવેની તુલનામાં નાના ઓવરબ્રિજ આ પ્રદેશમાં ટ્રાફિક જામનું મુખ્ય કારણ હતું. જ્યારે પણ આ સાંકડા પુલ પર અકસ્માતો થાય, ત્યારે ટ્રાફિકની ભીડ મુસાફરો માટે ભારે વિલંબનું કારણ બનતી હતી. જે માટે પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ અને ત્યારબાદ સાંસદ ડો. હેમાંગ જોષીએ સતત રજૂઆત કરી હતી. જે રંગ લાવી અને હાલમાં આ બ્રિજ પહોળા કરવાની કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે. જુના સાંકળા પુલ યથાવત, બાજુમાં નવા પુલ બન્યા
નેશનલ હાઇવે ઉપર નવા બનેલા પુલો, જે 6-લેન માળખા તરીકે કાર્ય કરાશે. સાંકડા પુલ માળખા અકબંધ રહેશે, જ્યારે ચાર મહત્વપૂર્ણ પોઇન્ટ, જાંબુવા, પોર, વેમાલી અને બામણગામ પર પહોળાઈ વધારવાનું કામ કરવામાં આવ્યું હતું. આ ચાર સ્થાનોએ બ્રિજ પહોળા થવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા મહદ અંશે પૂર્ણ થઇ જશે. આ વિસ્તરણથી વાણિજ્યિક વાહનોને ઘણો ફાયદો થવાની અપેક્ષા છે, જેઓ વારંવાર પરિવહન માટે હાઇવેનો ઉપયોગ કરે છે. નવી છ-લેન માળખું માત્ર ટ્રાફિક ઘટાડશે જ નહીં પરંતુ સાંકડી લેનને કારણે અગાઉ સામાન્ય રીતે થતા અકસ્માતોનું જોખમ પણ ઘટાડશે. સુરતથી વડોદરા વચ્ચે 14થી વધુ બ્રિજનું કામ
વડોદરા-સુરત (NH-48) સેક્શનમાં 14થી વધુ મહત્વપૂર્ણ બ્રિજ/સ્ટ્રક્ચર્સ અને તેના એપ્રોચ રોડ પહોળા કરવા તથા નવા નિર્માણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા પાસેના બ્રિજની કામગીરી માટેનો અંદાજિત ખર્ચ 125 કરોડ અંદાજવામાં આવ્યો હતો. જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. 1,195.90 કરોડના ખર્ચે 14 બ્રિજ પ્રોજેક્ટ
વડોદરા અને સુરત વચ્ચે નિર્માણ પામનારા 14 બ્રિજ પ્રોજેક્ટ માટેનો કુલ અંદાજિત ખર્ચ ₹1,195.90 કરોડ નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાં બાંધકામ, જમીન સંપાદન, પર્યાવરણીય મંજૂરીઓ અને યુટિલિટી શિફ્ટિંગ જેવી તમામ કામગીરીઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મુખ્ય બ્રિજ નિર્માણ અને એપ્રોચ રોડના સિવિલ વર્ક માટે ₹833.86 કરોડથી ₹853.46 કરોડની રકમ ફાળવવામાં આવી છે, જ્યારે પ્રી-કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ અને જમીન સંપાદન પેટે આશરે ₹362.04 કરોડ ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
ટૂંક સમયમાં બ્રિજ ખુલ્લા મુકવામાં આવશે
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, આ તમામ બ્રિજની કામગીરી 90 ટકા જેટલી પૂર્ણ થઇ ગઈ છે. આગામી સમયમાં મધ્ય ગુજરાત તેમજ ભરૂચ-અંકલેશ્વરના ઔદ્યોગિક ક્ષેત્રના વાહનચાલકોને મોટી રાહત મળશે. વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ મજબૂત અને સુચારુ બનાવવાના હેતુથી વિશ્વામિત્રી, જાંબુઆ, બામણગામ અને પોર ગામે બ્રિજ નિર્માણની મહત્વપૂર્ણ કામગીરી હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે, જો કે કેટલાક બ્રિજ ઉપરથી વાહનવ્યવહાર શરુ થઇ ગયો છે. વડોદરાથી ભરૂચ અને અંકલેશ્વર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા વિવિધ ઉદ્યોગોને કારણે સતત ચોવીસ કલાક ધમધમતા આ માર્ગ પર ભારે વાહનોની અવરજવરથી અવારનવાર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. સાંસદ ડૉ. હેમાંગ જોષીએ સંસદના સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ વિભાગના રાજ્યમંત્રી અજય ટમટા સમક્ષ રજૂઆત કરી હતી. સાંસદની રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રીએ કાર્યવાહીના આદેશો આપ્યા હતા, જેના પરિણામે ચારેય સ્થળોએ બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ થવાને આરે આવી છે. આગામી સમયમાં મધ્ય ગુજરાત તેમજ ભરૂચ-અંકલેશ્વરના ઔદ્યોગિક ક્ષેત્રના વાહનચાલકોને મોટી રાહત મળશે. પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ રાજપીપળાથી વડોદરા સ્થળાંતરિત
આ રાષ્ટ્રીય ધોરીમાર્ગના અસરકારક સંચાલન અને દેખરેખ માટે શહેરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સ્થાનિક કચેરી શરૂ કરવી અત્યંત અનિવાર્ય હોવાથી સાંસદ દ્વારા તે મુદ્દે પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાંસદના આ પ્રયાસોના પરિણામે વડોદરા શહેરમાં હાઈવે ઓથોરિટી અંતર્ગત પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU) કચેરી હવે સત્તાવાર રીતે કાર્યરત થઈ ગઈ છે, જે અગાઉ રાજપીપલા ખાતે કાર્યરત હતી જેના કારણે ટ્રાફિક નિયમન અને માર્ગને લગતી અન્ય સમસ્યાઓનો ખૂબ જ ઝડપથી અને સંતોષકારક નિકાલ આવશે તેવી પ્રબળ આશા ઉદ્યોગગૃહોમાં જાગી છે.
NH 48 પર વડોદરા નજીકના ચાર બ્રિજનું કામ 90% પૂર્ણ:6 લેન થતાં ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે, ટૂંક સમયમાં ખુલ્લા મુકાશે
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
