રાજકોટ શહેરમાં વાહનવ્યવહારને સુચારુ રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જેમના શિરે છે, તે જ ટ્રાફિક પોલીસ પોતે ટ્રાફિક જામનું કારણ બની હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા માધાપર ચોકડી ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા રોડની વચ્ચે જ વાહનો રોકીને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તાની મધ્યમાં વાહનો અટકાવવાના કારણે મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ટ્રાફિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો
નિયમોનું પાલન કરાવતી પોલીસના આ પ્રકારે વચગાળાના રોડ પર જ વાહનો રોકવાના નિર્ણયથી વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. માધાપર ચોકડી પરથી પસાર થતાં દૈનિક મુસાફરો અને વાહનચાલકો અટવાઈ પડતાં ભારે પરેશાની ભોગવવી પડી હતી. આ ગંભીર બેદરકારીને કારણે ટ્રાફિક પોલીસની સઘન ચેકિંગ પદ્ધતિ અને સ્થળની પસંદગી સામે સ્થાનિકો તેમજ વાહનચાલકો દ્વારા તીખા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
વાહનચાલકોમાં રોષ અને સગવડતાની માગ
રોડ વચ્ચે જ અચાનક વાહનો રોકવાથી અકસ્માતનો ભય પણ વધી જાય છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે ટ્રાફિક પોલીસે ચેકિંગ ચોક્કસ કરવું જોઈએ પરંતુ તે માટે યોગ્ય જગ્યા પસંદ કરવી જોઈએ જેથી કરીને ટ્રાફિક અવરોધાય નહીં. ટ્રાફિક જામની આ સ્થિતિ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્યાન આપીને યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરે અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવે તેવી માગ ઉઠી રહી છે.
