રાજકોટ શહેરમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અચાનક સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાણીપીણીના કુલ 39 જેટલા ધંધાર્થીઓને ત્યાં ત્રાટકીને આરોગ્ય નિરીક્ષકોએ ખોરાકની ગુણવત્તા, સંગ્રહ અને બનાવટની પદ્ધતિઓનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું. મનપાની આ આકસ્મિક કાર્યવાહીથી અશુદ્ધ કે અસ્વચ્છ ખોરાક વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
60 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 10 વેપારીઓને નોટિસ અને દંડ
ચકાસણી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને અનેક સ્થળોએ ભારે અનિયમિતતાઓ અને અસ્વચ્છતા જોવા મળી હતી. ટીમે સ્થળ પર જ માનવ આરોગ્ય માટે હાનિકારક એવા 60 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યસામગ્રીના જથ્થાને જપ્ત કરી તેનો તાત્કાલિક નાશ કર્યો હતો. આ ઉપરાંત હાઇજેનિક પરિસ્થિતિ ન જાળવવા તથા માન્ય લાઇસન્સ વગર વેપાર કરવા બદલ 10 ધંધાર્થીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને નિયમભંગ બદલ કુલ રૂ.7,500 નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
શંકાસ્પદ ઘી અને મોતીચૂર લાડુ સહિત 37 સેમ્પલ લેવાયા
આ દરોડા દરમિયાન ખોરાકમાં ભેળસેળની આશંકાને પગલે આરોગ્ય ટીમે શંકાસ્પદ ઘી, મોતીચૂરના લાડુ તેમજ અન્ય મીઠાઈઓ અને ખાદ્યસામગ્રી સહિત કુલ 37 જેટલા નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ તમામ સેમ્પલ્સને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. મનપા અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરી રિપોર્ટમાં જો ભેળસેળ કે સબ-સ્ટાન્ડર્ડ માલસામાન સાબિત થશે તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : Suratના સિંગણપોરમાં પીવાના પાણીમાં કેમિકલ ભળતાં SMCની લાલ આંખ, 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ થશે સીલ
