અમદાવાદ જિલ્લાના સાણંદમાં 19 વર્ષીય ડિઝાઇનિંગની વિદ્યાર્થીનીના આપઘાતના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી અને બેચલર ઇન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને લઈને પરિવાર અને વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
કપડાના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી
પોલીસ તપાસ દરમિયાન મૃતકના કપડાના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હોવાની માહિતી સામે આવી છે. આ નોટમાં 3 વ્યક્તિઓના નામનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. સ્યુસાઇડ નોટને આધારે પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે અને તેમાં ઉલ્લેખિત વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
પ્રેમસંબંધ મામલે માનસિક ત્રાસનો આક્ષેપ
પ્રાથમિક માહિતી મુજબ પ્રેમસંબંધને લઈને યુવતીને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારની ફરિયાદના આધારે સાણંદ પોલીસે 3 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હોવાની માહિતી સામે આવી છે.
પોલીસ તપાસમાં સામે આવશે સમગ્ર સત્ય
19 વર્ષીય વિદ્યાર્થીનીએ આવું અંતિમ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હવે પોલીસ તપાસમાં બહાર આવશે. સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખિત નામો અને પરિવારના આક્ષેપોને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કેસમાં નોંધાયેલા આરોપીઓની ભૂમિકા અને ઘટનાક્રમ અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
