સુરત શહેરના ઉચ્ચ ભદ્ર ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવતો એક કિસ્સો બન્યો છે. પાર્લે પોઈન્ટ વિસ્તારમાં અચાનક જ ડ્રેનેજની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. ડ્રેનેજ લાઈન અચાનક ફાટવાને કારણે ધસમસતો પાણીનો પ્રવાહ રોડ પર ફરી વળ્યો હતો. જોતજોતામાં આખો રસ્તો જળમગ્ન થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામના કરવો પડ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીની ઓફિસ નજીક જ ઘટના
ખાસ વાત એ છે કે આ ઘટના જ્યાં બની તે રસ્તો નાયબ મુખ્યમંત્રીની ઓફિસથી ખૂબ જ નજીક આવેલો છે. ભરચક રસ્તા પર ડ્રેનેજ અને પીવાના પાણીનો મોટો વ્યય થતો જોઈ સ્થાનિક રહીશો અને વેપારીઓમાં મહાનગરપાલિકાની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્રની પ્રી-મોન્સૂન અને મેન્ટેનન્સ કામગીરીના દાવાઓ સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા હતા.
ત્વરિત સમારકામ હાથ ધરાયું
ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તુરંત જ સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. સ્થાનિકોના વિરોધ અને વિવાદ વધતાં મનપાની ટીમ સમારકામની કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી હતી અને લાઈનનું ભંગાણ પુરવાની તજવીજ હાથ ધરી હતી.
