સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પત્નીએ પોતાના સાથી કર્મચારી એવા પ્રેમી સાથે તાપી નદીના કિનારે ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. પત્નીના આત્મહત્યાના પગલાં અને તેના લગ્નેતર સંબંધોની જાણ થતાં જ 40 વર્ષીય પતિ સિદ્ધાર્થ ખેરનાર ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા.
વરાછામાં હૃદય કંપાવી દેતી કરૂણ ઘટના
પત્નીના મોત અને અચાનક સામે આવેલા વિશ્વાસઘાતના આઘાતમાંથી સિદ્ધાર્થ ખેરનાર બહાર આવી શક્યા નહોતા. પરિવારે તેમને સાંત્વના આપવા અને સંભાળવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ પત્નીના વિયોગ અને વિશ્વાસઘાતનું દુઃખ સહન ન થતાં આખરે પત્નીના આપઘાતના આશરે ૩ દિવસ બાદ જ તેમણે પણ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. માત્ર ત્રણ જ દિવસના ગાળામાં માતા અને પિતા બંનેના આકસ્મિક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
2 માસૂમ બાળકો બન્યા નિરાધાર!
આ કરુણ ઘટનામાં સૌથી વધુ વિષમ પરિસ્થિતિ સિદ્ધાર્થ ખેરનારના બંને માસૂમ સંતાનોની થઈ છે, જેમણે એકસાથે માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દેતાં તેઓ સંપૂર્ણપણે અનાથ અને નિરાધાર બની ગયા છે. ઘટનાને પગલે પરિવાર અને સમગ્ર વરાછા વિસ્તારમાં ભારે અરેરાટી અને શાનુભૂતિનો માહોલ વ્યાપી ગયો છે. સમગ્ર બનાવ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચલાવી રહી છે.
