હીરાનગરી અને સિલ્કસિટી તરીકે ઓળખાતા સુરત શહેરના વિમાન પ્રવાસીઓ અને ખાસ કરીને ઉદ્યોગકારો માટે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતથી મુંબઈ વચ્ચે તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી ડાયરેક્ટ ફ્લાઇટ સર્વિસનું બુકિંગ અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. આ ફ્લાઇટ બંધ થવાના કારણે રોજિંદી અવરજવર કરતા પ્રવાસીઓમાં ભારે નિરાશા અને મુશ્કેલી જોવા મળી રહી છે.
થોડા સમય પહેલા જ ધામધૂમથી શરૂ કરાઈ હતી સેવા
તમને જણાવી દઈએ કે, હજુ થોડા સમય પહેલા જ સુરત અને મુંબઈ વચ્ચે હવાઈ સેવા ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ શરૂ થતાંની સાથે જ સુરતીઓ અને વ્યવસાયિકોએ તેને ભારે આવકાર આપ્યો હતો. જોકે, ટૂંકા જ સમયગાળામાં કોઈ પણ પૂર્વ સૂચના વિના અચાનક બુકિંગ સિસ્ટમમાંથી આ ફ્લાઇટ બંધ કરી દેવાતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે.
ટેક્સટાઇલ અને ડાયમંડ વેપારીઓની વધી મુશ્કેલી
સુરતનો ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સીધો મુંબઈ સાથે જોડાયેલો છે. દેશ અને વિદેશના વેપારીઓ માટે મુંબઈથી સુરત આવવા-જવા માટે આ ફ્લાઇટ એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહી હતી. ખૂબ જ ઓછા સમયમાં મુંબઈ પહોંચી શકાતું હોવાથી વેપાર-ધંધાને મોટો વેગ મળી રહ્યો હતો, પરંતુ હવે ફ્લાઇટ બંધ થવાના કારણે વેપારીઓના સમય અને વ્યવસાય બંને પર વિપરીત અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
બુકિંગ બંધ થવા પાછળનું કારણ અસ્પષ્ટ
એરલાઇન્સ અથવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ફ્લાઇટ શા માટે અચાનક સ્થગિત કે બંધ કરવામાં આવી છે, તેનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ટેકનિકલ કારણોસર બુકિંગ બંધ કરાયું છે કે પછી ઓપરેશનલ મુશ્કેલી છે, તે અંગે સત્તાવાર ખુલાસાની રાહ જોવાઈ રહી છે. સ્થાનિક વેપારી મંડળો દ્વારા આ સેવા સત્વરે ફરી શરૂ કરવા માટે માગ ઉઠી રહી છે.
આ પણ વાંચો: Surat News : ફોન પર આવેલું વેડિંગ કાર્ડ ખોલતાં જ અચાનક શું થયું? પોલીસ કોન્સ્ટેબલ સાથે કઈ રીતે થઈ મોટી ઠગાઈ?
