Surat News: ગામડામાં વીજળી ઉત્પન્ન કરો અને શહેરમાં મફતમાં વાપરો, જાણો શું છે આખી યોજના

📅 Published: September 13, 2026 | 📂 Category: Surat

સમગ્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ જિલ્લામાં વસતા હજારો શહેરીજનો, ફ્લેટ અને એપાર્ટમેન્ટ ધારકો કે જેઓ પોતાની અંગત છત (ટેરેસ) નહીં હોવાના કારણે અત્યાર સુધી સોલાર રૂફટોપના આર્થિક લાભથી વંચિત રહેતા હતા, તેમના માટે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે. અત્યાર સુધી એવો કડક નિયમ હતો કે જે છત (ટેરેસ) પર સોલાર પેનલ લગાવો, તે જ પ્રીમાઇસના વીજબિલમાં નેટ મીટરિંગનો લાભ મળતો હતો, પરંતુ ગુજરાત વિદ્યુત નિયમન પંચ દ્વારા પ્રસ્તાવિત ગ્રીડ ઇન્ટરેક્ટિવ ડિસ્ટ્રિબ્યુટેડ રિન્યૂએબલ એનર્જી રેગ્યુલેશન્સ અંતર્ગત આ જૂની પ્રથાઓ કાયમી અંત લાવવાના દિશામાં સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.

વીજળીનું ઉત્પાદન કરી યુનિટ્સ ફ્રી મેળવી શકશે

નવા નિયમો અનુસાર જ્યાં રહે છે ત્યાં જ સોલાર પ્લાન્ટ લગાવવો અનિવાર્ય નથી. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કાર્યક્ષેત્રમાં આવતો કોઈપણ વીજગ્રાહક દક્ષિણ ગુજરાતમાં જ આવેલા પોતાના ગામડાના વતનના મકાન પર, વાડીમાં કે ખેતરની ખુલ્લી જમીન પર સોલાર સિસ્ટમ લગાવીને સુરત જેવા મેગા સિટીમાં આવેલા પોતાના ફ્લેટની વીજળી મફત (શૂન્ય બિલ) કરી શકશે. ઊર્જા વિભાગના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંગેની આખરી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ચાલુ માસના અંત સુધીમાં આ નવી પદ્ધતિનું સત્તાવાર જાહેરનામું બહાર પાડીને પોર્ટલ પર અરજીઓ સ્વીકારવાનું શરૂ કરી દેવાશે.આ સુવિધા જે તે વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં જ મળશે. એપાર્ટમેન્ટના રહીશો એપાર્ટમેન્ટની ખાલી જગ્યા હોય તો ત્યાં પણ સોલાર સિસ્ટમ લગાડી વીજળીનું ઉત્પાદન કરી યુનિટ્સ ફ્રી મેળવી શકશે. 

ગ્રાહકને પ્રતિ યુનિટ રૂપિયા 2.25 લેખે નાણાં મળશે

નવી પ્રણાલી હેઠળ વીજળીનું બિલિંગ અને એકાઉન્ટિંગ સામાન્ય નાગરિક પણ સમજી શકે તેટલું સરળ અને પારદર્શક બનાવવામાં આવ્યું છે. ગામડાના ઘર કે ખેતરમાં લગાવેલા સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થઈને ગ્રીડમાં ફીડ થયેલા વીજ યુનિટ્સ સીધા જ સુરત કે અન્ય શહેરના ફ્લેટના મીટરમાં વપરાયેલા યુનિટ્સ સામસામે સરભર કરી આપવામાં આવશે. જો ખેતર/ગામના પ્લાન્ટમાંથી ૪૦૦ યુનિટ ગ્રીડમાં ગયા અને શહેરમાં ફ્લેટનો વપરાશ 500 યુનિટ થયો, તો ગ્રાહકે માત્ર તફાવતના 100 યુનિટનું જ પ્રવર્તમાન રેટિંગ દર મુજબ સામાન્ય બિલ ભરવું પડશે, અને જો ફ્લેટમાં ૩૦૦ યુનિટ વપરાયા અને પ્લાન્ટમાંથી 500 યુનિટ પેદા થયા હોય, તો વપરાશ બાદ વધેલા 200 યુનિટ વીજ કંપની દ્વારા ‘ડીમ્ડ પર્ચેઝ’ ગણી ખરીદી લેવાશે અને ગ્રાહકને પ્રતિ યુનિટ રૂપિયા 2.25 લેખે નાણાં તેના ખાતામાં જમા કરવામાં આવશે. 

10થી 50 કિલોવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપી દેશે

સૌથી મોટી રાહત એ છે કે ઘરવપરાશના રહેણાંક ગ્રાહકો માટે આ એડજસ્ટમેન્ટ પર વીજ કંપની કોઈ પણ પ્રકારનો બેંકિંગ ચાર્જ કે વ્હીલિંગ ચાર્જ વસૂલશે નહીં.સુરત ડાયમંડ અને ટેક્સટાઇલનું હબ દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાંથી આવીને શહેરમાં વસેલા હજારો લોકો અહીં એપાર્ટમેન્ટ્સમાં વસે છે. દક્ષિણ ગુજરાતના કાર્યક્ષેત્રમાં આવેલા ગામડે તેમના પૈતૃક મકાનો, ધાબા કે વાડી-ખેતરોમાં પુષ્કળ જગ્યા ખુલ્લી પડી રહે છે, જ્યારે સુરતમાં ફ્લેટમાં રહેતા હોવાથી ટેરેસ રાઇટ્સના વિવાદોને કારણે સોલાર લગાવી શકતા નહોતા. હવે આ પરિવારો પોતાના ગામના મકાનની છત પર 10થી 50 કિલોવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપી દેશે, તો ગામડે વીજળી પેદા થશે અને તેનો પૂરેપૂરો ફાયદો સુરતમાં ચાલતા એસી, પંખા અને ફ્રિજના બિલમાં સીધો બાદ મળી જશે. આમ, ગામડાની ખાલી જગ્યાનું મોનેટાઈઝેશન થશે અને શહેરમાં વીજબિલની કાયમી ચિંતા દૂર થશે.

આ પણ વાંચોઃ Ahmedabad News : શહેરમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે આ 38 સ્થળોએ આર્ટિફિશિયલ તળાવ તૈયાર કરાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *