સુરત જિલ્લાના કડોદરા-બારડોલી રોડ પર આવેલી શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટીમાં એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. ભાજપના એક મહિલા આગેવાનના પુત્ર સૌરભકુમારની 24 વર્ષીય પત્ની નિધિકુમારીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું. લગ્નજીવનના માત્ર 2 જ વર્ષના ટૂંકા ગાળામાં પરિણિતાએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
પોસ્ટ મોર્ટમ વખતે આંતરવસ્ત્રમાંથી મળી સ્યુસાઈડ નોટ
આ આત્મહત્યા કેસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આત્મહત્યા કરતા પહેલાં નિધિકુમારીએ 2 પાનાની વિસ્તૃત સ્યુસાઈડ નોટ લખી હતી અને તેને પોતાના આંતરવસ્ત્રમાં છુપાવી દીધી હતી. મૃતદેહના પોસ્ટ મોર્ટમ દરમિયાન તબીબોને આંતરવસ્ત્રમાંથી આ ચિઠ્ઠી મળી આવી હતી. તબીબોએ તાત્કાલિક આ મહત્વપૂર્ણ પુરાવો કડોદરા પોલીસને સોંપ્યો હતો.
પતિના અનૈતિક સંબંધો અને માનસિક ત્રાસનો ઉલ્લેખ
મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં પતિના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ‘પતિ, પત્ની ઓર વો’ ના ચક્કરમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને કારણે ઘરમાં વારંવાર તીવ્ર માનસિક ત્રાસ અને કંકાશ થતો હતો. આ સતત થતા ત્રાસથી કંટાળીને જ તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

પિયર પક્ષની ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી
આ સમગ્ર મામલે મૃતક નિધિકુમારીના પિયર પક્ષે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. પતિના અફેર અને માનસિક ત્રાસ અંગેના પુરાવા આધારે પોલીસ આગળની કડક કાર્યવાહી હાથ ધરશે. પતિ પત્ની ઔર વો ના કિસ્સામાં વધુ એકનો ભોગ લેવાતા સમાજમાં ચિંતા સાથે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો – Surat News: શહેર પોલીસે દોઢ લાખની કિંમતનો 723 કિલો અખાદ્ય માવો અને નકલી મીઠાઈનો જથ્થો ઝડપ્યો
