સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણાની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. તેમને મહીસાગર જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની કડક અને નિષ્પક્ષ કામગીરી માટે જાણીતા અધિકારીની અચાનક થયેલી આ બદલીએ સ્થાનિક રાજકારણ અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
અબજો રૂપિયાની ખનીજચોરી પર ચલાવ્યું હતું બુલડોઝર
પ્રાંત અધિકારી તરીકેની તેમની મુદત દરમિયાન હરેશ મકવાણાએ ચોટીલા, સાયલા, થાનગઢ અને મૂળી તાલુકામાં વ્યાપક પ્રમાણમાં ચાલતી ગેરકાયદે ખનીજ ચોરી સામે લાલ આંખ કરી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન દરોડા પાડીને અબજો રૂપિયાની ખનીજચોરી અને તેના સાધનો જપ્ત કરી કડક કાનૂની કાર્યવાહી કરી હતી. તેમની આ આક્રમક ઝુંબેશને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ઉત્ખનન કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
રાજકીય આકાઓ અને માફિયાઓ મથામણ કરતા હતા
હરેશ મકવાણાની નિષ્પક્ષ અને કડક કામગીરીને કારણે તેઓ ખનીજ માફિયાઓ અને તેમના રાજકીય આકાઓની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની બદલી કરાવવા માટે ખનીજ માફિયાઓ અને કેટલાક રાજકીય નેતાઓ દ્વારા લાંબા સમયથી ઉચ્ચ સ્તરે ભારે મથામણ અને દબાણ કરવામાં આવી રહ્યું હતું. આખરે તેમની બદલી થતાં ખનીજ માફિયા તત્વોમાં આનંદ અને ગેલનો માહોલ જોવા મળી રહ્યો છે.

જિલ્લાના પ્રામાણિક અધિકારી તરીકે ઉભરી આવ્યા
પ્રાંત અધિકારી હરેશ મકવાણાની બદલીના સમાચાર વાયુવેગે ફેલાતાં જ સામાન્ય જનતા અને પર્યાવરણપ્રેમીઓમાં એક અલગ જ ચર્ચા શરૂ થઈ છે. ખનીજચોરી જેવા દૂષણને નાથવા માટે તેમણે દર્શાવેલી મક્કમતા અને હિંમતની સ્થાનિક લોકો બિરદાવા કરી રહ્યા છે, તો બીજી તરફ એક નિષ્ઠાવાન અધિકારીની બદલીથી ખનીજ માફિયાઓને ફરી મોકળું મેદાન મળી જવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો – Surendranagar News : શ્રાવણ માસમાં મહિલાઓની અનોખી શિવભક્તિ, દરરોજ બનાવે છે 25 હજાર પાર્થેશ્વર શિવલિંગ
