વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા દેવ નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. વાઘોડિયાના મહાદેવપુરા ગામે રાત્રિના સમયે શિકારની શોધમાં આવી ચડેલા દીપડાએ એક પશુપાલકના વાછરડા પર પ્રાણઘાતક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યું હતું. વાછરડાનું મારણ કર્યા બાદ દીપડો સીમ વિસ્તારમાંથી ભાગીને નજીકમાં આવેલા દેવ નદીના કોતરો અને ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારમાં ગાયબ થઈ ગયો હતો.
એક જ પશુપાલકને બીજી વખત નિશાન બનાવતાં ચિંતા
મહાદેવપુરા ગામના સ્થાનિક પશુપાલક મહેન્દ્રભાઈ નરોત્તમભાઈના પશુધનને દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે અગાઉ પણ આ જ પશુપાલકના વાછરડાનું દીપડાએ મારણ કર્યું હતું. એક જ પશુપાલકના પશુઓને વારંવાર નિશાન બનાવવામાં આવતાં મહેન્દ્રભાઈ સહિત સમગ્ર ગામના પશુપાલકોમાં ભારે આર્થિક નુકસાનની સાથે ભારે ચિંતા અને ભયનું મોજું ફરી વળ્યું છે. રાત્રિના સમયે પશુઓની સુરક્ષાને લઈને માલધારીઓ અસમંજસમાં મુકાયા છે.
વન વિભાગને જાણ કરાતાં પાંજરું ગોઠવવા માંગ
દેવ નદી કિનારાના વાઘોડિયા પંથકના ગામોમાં વારંવાર દીપડાની અવરજવર અને પશુઓના મારણની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ફાફડાટ વ્યાપી ગયો છે. ઘટના અંગે ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી છે. સ્થાનિક રહીશો અને પશુપાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવીને તપાસ હાથ ધરે અને દેવ નદી કિનારે પાંજરું ગોઠવીને માનવભક્ષી કે હિંસક બનતા દીપડાને વહેલી તકે પાંજરે પૂરે, જેથી ગ્રામજનો અને પશુધનની સુરક્ષા જળવાઈ રહે.
