મધ્ય ગુજરાતની કનેક્ટિવિટીને નવો વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા અને આસપાસના વિસ્તારો માટે રૂ.1297 કરોડના વિવિધ પ્રજાલક્ષી સર્વાંગી વિકાસકામોની ભેટ ધરી છે. આ પ્રસંગે મહી નદી પર નવનિર્મિત અતિમહત્વના ગંભીરા બ્રિજનું વર્ચ્યુઅલ માધ્યમથી વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 2 રાજ્યકક્ષાના મંત્રીઓ, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મધ્ય ગુજરાતમાં કુલ રૂ.676.68 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ.352.54 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન થયું હતું.
ગંભીરા બ્રિજનું વિક્રમી 12 મહિનામાં કન્સ્ટ્રક્શન પૂર્ણ
વડોદરા-પાદરા અને આણંદ જિલ્લાને જોડતા અતિમહત્વપૂર્ણ ગંભીરા બ્રિજના નિર્માણમાં તંત્રે રેકોર્ડબ્રેક કામગીરી કરી છે. 9 જુલાઈ, 2025ના રોજ સર્જાયેલી દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત ફોલોઅપ અને સમીક્ષાના પરિણામે રૂ.212 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ પુલ માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં બનીને તૈયાર થઈ ગયો છે. 20 સપ્ટેમ્બરે બપોરે 3:00 કલાકે આ બ્રિજનું લોકાર્પણ થતાં જ વડોદરા અને આણંદ વચ્ચે અવરજવર કરતા હજારો વાહનચાલકોને સીધો અને સુરક્ષિત માર્ગસંપર્ક મળી રહેશે.

રૂ.29 કરોડનું સંકલ્પ સ્મારક ઓડિટોરિયમ
બ્રિજ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે સંસ્કારી નગરી ખાતે ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરના સ્મરણાર્થે રૂ.29 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સંકલ્પ સ્મારક ઓડિટોરિયમ, રૂ.8.35 કરોડના ઓબ્ઝર્વેશન રૂમ તેમજ પીએમ આવાસ યોજના (PMAY) હેઠળ તૈયાર થયેલા 593 મકાનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા CM પટેલે 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો અને સ્વાસ્થ્ય સુરક્ષા માટે રૂ.10 લાખનું કવરેજ આપતી આયુષ્માન ભારત યોજના સહિતની સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો.
