Vadodara: નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી નો ગુંજારવ ગુંજ્યો

📅 Published: September 5, 2026 | 📂 Category: Baroda

શહેરના મંદિરોમાં જન્માષ્ટમી-નંદ મહોત્સવની ઉજવણી દરમિયાન વૃંદાવન જેવો અલૌકિક માહોલ સર્જાયો હતો. જન્માષ્ટમીની મધરાતે ફટાકડાના ધૂમધડાકા-આકાશી આતશબાજી સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્યતા-દિવ્યતા સાથે ભાવસભર ઉજવણી કરાઇ હતી.

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી દરમિયાન ભજન સંધ્યા, ભક્તિ-સંગીત, સત્સંગ-નૃત્ય સાથે શાનદાર-જાનદાર ઉજવણી કરાઇ હતી. શહેરભરના મંદિરોમાં મધરાતે આનંદ-ઉલ્લાસના ઓઘ સાથે નંદ ઘેર આનંદભયો, જય કનૈયાલાલકી. હાથી ઘોડા-પાલખી જય નંદ લાલકીના ગગનભેદી જયઘોષ સાથે ફટાકડાના ધૂમધડાકા-આકાશી આતશબાજીએ મેઘધનુષી માહોલ સર્જ્યો હતો. ભક્તોએ શ્રીપ્રભુને પંચામૃત અભિષેક કરી માખણ-મિસરી, પંજરી-મેવા-મીઠાઇ સહિતનો ભોગ ધરાવ્યો હતો. કેટલાક મંદિરોમાં ભક્તોએ સાત્વિક કેક કાપી જન્મોત્સવ મનાવ્યો હતો. શહેરના ગોત્રી-ઇસ્કોન મંદિરમાં બે દિવસીય મહોત્સવ દરમિયાન 75,000 કરતા વધુ ભક્તો ઉમટયા હતા. ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં રાતે 11.45 કલાકથી શરૂ કરાયેલી આતશબાજી રાતે 1 કલાક સુધી જારી રહી હતી. ભગવાનના ચરણ પખાળવા સવારે 4.30 સુધી ભક્તોનો ધસારો અવિરત જારી રહ્યો હતો. પારણાંના પર્વે સવારે 7.30 કલાકે શ્રુંગાર દર્શન-મંગલા દર્શન બાદ બપોરે 12 કલાકે ભોગ ધરાવાયો હતો. શહેરના માંજલપુર-વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં યોજાયેલા શ્રીકૃષ્ણ જન્મોત્સવ-નંદ મહોત્સવમાં હજારો વૈષ્ણવો, સાંસદ ડો.હેમાંગ જોષી, શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સહિત વિવિધક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે મધુર ભજનો-કીર્તનો સાથે મધરાતે પંચામૃત દર્શનનો લાભ લઇ વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે શહેરભરના વિવિધ વિસ્તારોમાં નંદ મહોત્સવ પ્રસંગે મટકીફોડના દિલધડક કાર્યક્રમોએ રંગત જમાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *