વડોદરા શહેરને હચમચાવી મુકનારા ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં અદાલતે મોટો અને મહત્વનો ચૂકાદો આપ્યો છે. વડોદરાની ખાસ અદાલતે આ સનસનાટીભરી ઘટનામાં સામેલ તમામ પાંચેય આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા આરોપીઓમાં મુન્ના બંજારા, આફતાબ બંજારા, શહરૂખ બંજારા, સૈફ અલી બંજારા અને અજમલ બંજારાનો સમાવેશ થાય છે. અદાલતે તમામ પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને આરોપીઓને દોષી ઠેરવ્યા છે અને હવે આગામી 25 ઓગસ્ટના રોજ સજાનું પરિમાણ જાહેર કરવામાં આવશે.
નવરાત્રીની રાત્રે જઈ રહેલી સગીરાને બનાવી હતી શિકાર
આ ભયાનક ઘટના વર્ષ 2024માં નવરાત્રી તહેવાર દરમિયાન બની હતી. 16 વર્ષીય માસૂમ સગીરા પોતાના બોયફ્રેન્ડ સાથે ગરબા રમીને રાત્રિના સમયે ઘરે પરત ફરી રહી હતી, તે સમયે ભાયલી વિસ્તારમાં આરોપીઓએ તેમને આંતર્યા હતા. નરાધમોએ સગીરાના મિત્રને ધમકાવીને બંધક બનાવ્યો હતો અને સગીરા પર કાળો કેર વર્તાવ્યો હતો. આ ઘટનામાં બે આરોપીઓએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે અન્ય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા અને ગુનામાં મદદગારી કરી હતી.
પોલીસની ત્વરિત કામગીરી અને કોર્ટના ચૂકાદાથી ન્યાયની આશા
ઘટનાની ગંભીરતાને જોઈને વડોદરા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના દિવસોમાં જ પાંચેય આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. પોલીસે અદાલતમાં મજબૂત ચાર્જશીટ અને વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા હતા, જેના આધારે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. 25 ઓગસ્ટે અદાલત દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી પીડિત પરિવાર અને સમગ્ર ગુજ્જુ સમાજ આશા રાખી રહ્યો છે.
