રાજ્યના મુખ્ય મહાનગરોમાં રખડતાં ઢોરનો ત્રાસ હવે માત્ર ટ્રાફિકની સમસ્યા નથી રહ્યો, પરંતુ નાગરિકો માટે જીવલેણ અકસ્માતનું મુખ્ય કારણ બની ગયો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રજૂ કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લાં બે વર્ષમાં વડોદરામાં જ રખડતાં પશુઓને કારણે 1,538 જેટલા માર્ગ અકસ્માતો નોંધાયા છે.
શહેરના સમા વિસ્તારની શ્રધ્ધા પૂર્ણિમાં સોસાયટીમાં રહેતા 26 વર્ષીય અક્ષય લાલજીભાઈ વણકર બે દિવસ અગાઉ સાંજના સમયે ચાલીને સમા અભિલાષા પાસે રામજીમંદિર નજીકની પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન એકાએક રખડતાં ઢોર દોડી આવતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. જેથી તેમને શારીરિક ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડાયા હતા.
તાજેતરમાં વિધાનસભામાં રજૂ થયેલી માહિતી મુજબ વડોદરામાં બે વર્ષના ગાળામાં 5528 ભયાનક અકસ્માત સર્જાયા છે. અકસ્માતો વધવા પાછળનું મુખ્ય કારણ રાત્રિના સમયે રસ્તા પર બેઠેલા પશુઓનું ન દેખાવું અને પશુપાલકો દ્વારા દૂધ દોહ્યા બાદ ઢોરને જાહેર રસ્તા પર ખુલ્લા મૂકી દેવાની ટેવ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમોની ઢીલી કામગીરી અને સામાન્ય દંડને કારણે પશુપાલકોમાં કાયદાનો ભય રહ્યો નથી. હાઈકોર્ટની કડક ફ્ટકાર છતાં રસ્તાઓ પરથી રખડતાં ઢોર ગાયબ થયા નથી, જેના કારણે દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.
