શિનોર તાલુકાના સાધલી મુકામે ગ્રામ પંચાયત દ્વારા તા. 5 સપ્ટેમ્બરના રોજ વિવાદી તળાવ મુકામે બ્યુટીફ્કિેશન, સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતા યોજાવાની જાહેરાત કરી હતી. પરંતુ તળાવની જગ્યાના વિવાદને કારણે માત્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણમાં સૌપ્રથમ દીપ પ્રાગટય બાદ કાર્યક્રમ શરૂ કરાયો હતો. પરંતુ વડોદરા જિલ્લા ભાજપા લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ સબ્બીર રાઠોડના પિતાનુ આજે જ અવસાન થયું હોવા છતાં બે મિનિટનું મૌન પાળ્યું નહોતું. જે ચર્ચાનો વિષય બન્યો હતો.
ગામના ભાવેશ દરજી દ્વારા પંચાયત દ્વારા આશરે 25 લાખના ખર્ચે બનાવેલ તળાવની પાળને તોડી પાડી તળાવમાં 300 બાય 50 ચોરસ મીટરની જગ્યાનું દબાણ કરી કલેકટરની પરવાનગી વગર તળાવનું ક્ષેત્રફ્ળ ઘટાડયું હતું. તેની પુરાવા સાથે જિલ્લા કલેકટર,DDO, મામલતદાર તથા TDOને અરજી કરવા છતાં તેનો ભંગ કરીને પંચાયત દ્વારા આજે જાહેર કરેલ આ કાર્યક્રમ વિવાદનો ભોગ બન્યો હતો. તોડી પાડેલ જૂની તળાવની પાળ ઉપરથી 15થી 20 વર્ષ જૂના નારીયેલીના વિશાળ 11 વૃક્ષો, આસોપાલવના 11 મોટા વૃક્ષો અને બે મોટા લીમડા તથા ફૂલોથી આચ્છાદિત બોગણ વેલો, અને વડના નાના વૃક્ષ જેસીબી મશીનથી ઉખેડીને ફેંકી દીધા હતા. આ મોટા વૃક્ષો પાડી દીધા અને આજે સામાજિક વનીકરણના બહાના ઓથે યોજાયેલ વૃક્ષારોપણનો કાર્યક્રમ ગામમાં હાસ્યાસ્પદ બન્યો હતો. 7000ની વસતી વચ્ચે સાધલીના માત્ર 70 લોકો હાજર હતા. જેમાં પંચાયતના કેટલાક સભ્ય સહિત મહિલા સભ્ય એક પણ હાજર નહોતી.
