સાવલી – ઉદલપુરના રૂા.389 કરોડના ખર્ચે નવા બની રહેલા રોડ પરથી સરકારના બે વિભાગો વચ્ચેના સંકલનના અભાવે રાહદારીઓ જીવના જોખમે પસાર થતા જોવા મળી રહ્યા છે, આ મામલે ધારાસભ્યે રાજ્ય સરકારના બે વિભાગોને જવાબદાર ઠેરવ્યા છે.
સાવલીથી ઉદલપુર સુધીના 38 કિ.મી.ના માર્ગ પર ઠેર-ઠેર મસમોટા ખાડા જોવા મળે છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગત રોજ એક બાઈકસવાર ખાડાના કારણે અકસ્માતનો ભોગ બનતા બચી ગયો હોવાનો વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. ક્વોરી ઉદ્યોગના કારણે 24 કલાક ધમધમતા રોડ પર ઠેર ઠેર પડેલા ખાડાથી તાલુકાજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આ ચાર માર્ગીય રોડના નવનિર્માણ માટે રાજ્યસરકાર દ્વારા રૂ.389 કરોડની ફાળવણી કરીને વર્ક ઓર્ડર અપાયો છે. એક વર્ષ પહેલા રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું, છતાં હજુ સુધી માત્ર 25 % પણ કામ થયું નથી, ત્યારે વાયરલ વીડિયો અને ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત બાદ તંત્ર દ્વારા સમારકામ શરૂ કરાયું હતું.
