વડોદરા સ્થિત પ્રખ્યાત ખાતર ઉત્પાદક કંપની GSFC (ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ) ના યુરિયા પ્લાન્ટમાં થોડા દિવસો અગાઉ બનેલી ગેસ ગળતરની ગંભીર દુર્ઘટનામાં આજે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઝેરી ગેસની અસરમાં આવી જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલા કર્મચારી કેયુર પરમારનું 11 દિવસની લાંબી અને સંઘર્ષપૂર્ણ સારવાર બાદ મોત નીપજ્યું છે.
ગેસ ગળતરમાં 2 કર્મચારીઓના મોત
ગેસ લીકેજની આ દુર્ઘટના સમયે પ્લાન્ટમાં કામ કરી રહેલા બે કર્મચારીઓ ઝેરી ગેસની ચપેટમાં આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. કેયુર પરમારને ત્વરિત ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ (ICU) હેઠળ રાખી સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ ઝેરી વાયુની ગંભીર અસરને કારણે તબીબોની ભારે મહેનત છતાં તેમને બચાવી શકાયા નથી.ઉલ્લેખનીય છે કે, આ જ ગેસ ગળતરની ઘટનામાં અગાઉ ઘનશ્યામ ગોહિલ નામના અન્ય એક કર્મચારીનું કરૂણ મોત નીપજ્યું હતું. પ્રથમ મોત બાદ GSFC કંપની મેનેજમેન્ટ દ્વારા મૃતક કર્મચારીના પરિવારજનોને રૂ. 18.51 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. પરંતુ હવે બીજા કર્મચારીનું પણ સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક વધીને ૨ થયો છે.
11 દિવસની હોસ્પિટલમાં સારવાર બાદ તોડ્યો દમ
એક જ ઘટનામાં બે-બે હોનહાર કર્મચારીઓએ પોતાના જીવ ગુમાવતાં GSFC ના કામદારો અને યુનિયનમાં ભારે અરેરાટી અને રોષ જોવા મળી રહ્યો છે. પ્લાન્ટની સેફ્ટી અને મેન્ટેનન્સમાં ક્યાં ચૂક રહી ગઈ હતી તેને લઈને સ્થાનિક ફેક્ટરી ઇન્સ્પેક્ટર તથા ઔદ્યોગિક સુરક્ષા વિભાગ દ્વારા તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે.
