Vadodara News: શિનોરમાં ‘એનાલોગ પનીર’નો કાળો ખેલ, સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં થયો પર્દાફાશ

📅 Published: August 28, 2026 | 📂 Category: Baroda

વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે સરકારી નિયમોના ધજાગરા ઉડાવીને ખુલ્લેઆમ એનાલોગ પનીર વેચાઈ રહ્યું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સરકારી કાગળો પર પ્રતિબંધ હોવા છતાં શિનોરના બજારમાં ભેળસેળિયા પનીરનો વેપાર ધમધમી રહ્યો છે. સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં શિવશક્તિ ડેરી ખાતેથી કથિત એનાલોગ પનીરના વેચાણનું મોટું રહસ્ય કેમેરા સામે ખુલ્લું પડ્યું છે.

બપોરે 12:48 કલાકે ના પાડી, 4:02 કલાકે કેમેરા સામે વેચાયું પનીર

સંદેશ ન્યૂઝના સંવાદદાતાએ ગ્રાહક બનીને હાથ ધરેલા સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા હતા. બપોરે 12:48 કલાકે જ્યારે ડેરી પર તપાસ કરી ત્યારે ‘પનીર પૂરું થઈ ગયું છે’ તેવો જવાબ મળ્યો હતો અને ચાર વાગ્યે આવવા જણાવાયું હતું. ત્યારબાદ બપોરે 4:02 કલાકે સંવાદદાતા ફરી પહોંચતા રૂ. 50 ના 100 ગ્રામના હિસાબે રૂ. 150 નું પનીર વેચવામાં આવ્યું હતું. આ સમગ્ર ખેલ કેમેરાની નજરે શૂટ થઈ ગયો હતો.

સરકારી કચેરીઓથી માત્ર 100 મીટર દૂર ચાલે છે ગોરખધંધો

સૌથી ગંભીર બાબત એ છે કે, જે શિવશક્તિ ડેરીમાં આ કાળો ખેલ ચાલી રહ્યો છે, તેનાથી તાલુકા હેલ્થ સેન્ટર માત્ર આશરે 100 મીટર જ દૂર આવેલું છે. આ ઉપરાંત નજીકમાં જ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી જેવી મહત્વની સરકારી ઓફિસો આવેલી છે. તંત્રના નાકની નીચે જ ચાલતો આ વેપાર જવાબદાર અધિકારીઓની નજરથી કેમ દૂર છે તે મોટો પ્રશ્ન છે.

Vadodara News: Sting Operation Reveals Selling of Alleged Analog Paneer in Shinor

તહેવારના દિવસે આ સ્થિતિ તો સામાન્ય દિવસોમાં શું?

રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારના દિવસે જ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ કથિત પનીરનું વેચાણ કેમેરામાં કેદ થયું છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, સામાન્ય દિવસોમાં અહીં કેવા પ્રકારનો માલ વેચાતો હશે? જો સંદેશ ન્યૂઝની ટીમ આ ભેળસેળ સુધી પહોંચી શકતી હોય તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ કેમ ઊંઘતી ઝડપાઈ રહી છે?

હવે તંત્ર ક્યારે જાગશે? સેમ્પલ લેવાશે કે નહીં?

શિનોરમાં પનીરના વેચાણનો વિવાદ ગરમ થતાં હવે સમગ્ર પંથકની નજર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા સરકારી તંત્રની કામગીરી પર મંડાયેલી છે. શું તંત્ર દ્વારા શિવશક્તિ ડેરીમાંથી કથિત એનાલોગ પનીરના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે? અને જો ભેળસેળ પુરવાર થશે તો જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી થશે કે પછી મામલો રફેદફે કરી દેવાશે?

આ પણ વાંચો – Vadodara સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી, AAP ધારાસભ્ય ચૈતર વસાવાને બહેને બાંધી રાખડી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *