Vadodara News: હીરો બનીને બાળકોનો જીવ બચાવ્યો, પણ પોતે ઝેર સામે હારી ગયા, શિનોરના યુવાન વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅરનું સર્પદંશથી મોત

📅 Published: September 2, 2026 | 📂 Category: Baroda

વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં એક અતિ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રસ્તા પર અચાનક આવી ચડેલા ઝેરી કોબ્રા સાપથી આસપાસ રમી રહેલા નાના બાળકોને સુરક્ષિત કરવા જતાં જાણીતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર 38 વર્ષીય અનિલ માછીનું સાપના ડંખથી મોત નીપજ્યું છે. અનિલભાઈ મૂળ વ્યવસાયે ડ્રાઇવિંગ કરતા હતા, પરંતુ વન્યજીવો પ્રત્યેના પ્રેમને કારણે તેઓ વર્ષોથી સાપ અને અન્ય સરીસૃપોનું રેસ્ક્યુ કરવાનું સરાહનીય કામ પણ કરતા હતા.

કોબ્રાને પકડતી વખતે આંગળી પર માર્યો ડંખ

ઘટનાની વિગત અનુસાર, રસ્તા પર કોબ્રા સાપ દેખાતાં જ નજીકમાં રમી રહેલા બાળકોના જીવ પર જોખમ ઊભું થયું હતું. આ જોઈને અનિલભાઈએ તુરંત જ સાપને રેસ્ક્યુ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, કોબ્રાને પકડવાની પ્રક્રિયા દરમિયાન અચાનક સાપે તેમની આંગળી પર જોરદાર ડંખ મારી લીધો હતો. સાપ કરડતા જ તેમની તબિયત લથડવા લાગી હતી.

સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો

ઘટના બનતા જ આસપાસના મિત્રો તુરંત અનિલભાઈને બાઇક પર બેસાડીને પ્રાથમિક સારવાર માટે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં તેમની ગંભીર સ્થિતિને જોતાં તબીબોએ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ઝેર શરીર અને લોહીમાં પ્રસરી જતાં એસએસજી હોસ્પિટલના ડોક્ટરોએ ટૂંકી સારવાર બાદ અનિલ માછીને મૃત જાહેર કર્યા હતા.

Vadodara News: Wildlife Rescuer Anil Machhi Dies of Cobra Bite in shinor

રેસ્ક્યુ ક્ષેત્રે મેળવ્યા હતા અનેક પ્રમાણપત્રો

અનિલ માછી માત્ર એક સામાન્ય નાગરિક ન હતા, પરંતુ વન્યજીવોના રક્ષણ માટે સમર્પિત એક અનુભવી રેસ્ક્યુઅર હતા. તેમણે પોતાના જીવન દરમિયાન સેંકડો સાપ અને વન્યજીવોને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં મુક્ત કર્યા હતા, જેના માટે તેમને વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ તરફથી અનેક પ્રમાણપત્રો પણ મળ્યા હતા. અનેક લોકોના જીવ બચાવનાર વ્યક્તિનું આ રીતે અકાળે અવસાન થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

1 વર્ષમાં બીજા રેસ્ક્યુવરના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું

શિનોર પંથક માટે આ આઘાત નવો નથી. આશરે 1 વર્ષ અગાઉ જ શિનોરમાં અન્ય એક જાણીતા રેસ્ક્યુવર અશોક પટેલનું પણ કોબ્રા સાપના ડંખથી જ મોત થયું હતું. માત્ર 12 મહિનાના ટૂંક સમયગાળામાં વિસ્તારના 2-2 અનુભવી અને સક્રિય રેસ્ક્યુઅર ગુમાવતાં સમગ્ર શિનોર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટના અંગે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો – Vadodara News : ઈ-સિગરેટના રૂ.10 લાખના રેકેટનો પર્દાફાશ, બે મુખ્ય સૂત્રધાર SOGના સકંજામાં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *