વલસાડના અબ્રામા સ્થિત અક્ષરધામ સોસાયટીમાં પાલિકાના કર્મચારીએ સ્ટ્રીટ લાઈટ પોલ પરથી કાઢી નાખતા સોસાયટીના રહીશોએ આજરોજ પાલિકા કચેરીએ મોરચો માંડયો હતો.
વલસાડના અબ્રામા સ્થિત અક્ષરધામ સોસાયટીમાં પહોંચેલ પાલિકાના મોગરાવાડી ઝોનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ સોસાયટીના પોલ પરથી સ્ટ્રીટ લાઈટ ઉતારી લીધી હતી. જે બાબતે સોસાયટીના રહીશોએ કર્મચારીને પૂછતાં, કર્મચારીઓએ સોસાયટીના રહીશોને તેમની જ સોસાયટીમાં રહેતા ત્રણ રહીશોએ ફરિયાદ કરી હોવાનું અને ચીફ ઓફિસરના આદેશ બાદ તે સ્ટ્રીટ લાઈટ કાઢવા આવ્યો હોવાનો જવાબ આપ્યો હતો. જે બાબતથી રોષે ભરાયેલા સોસાયટીના રહીશોએ આજરોજ પાલિકા કચેરીએ મોરચો માંડયો હતો. સોસાયટીના આગેવાનોએ ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાને, સ્ટ્રીટ લાઈટ કાઢવા બાબતે કર્મચારીએ આપેલ જવાબ અંગે જણાવતા, તેમણે સોસાયટીમાંથી સ્ટ્રીટ લાઈટ કાઢવા માટે કોઈ પણ આદેશ આપ્યો નહિ હોવાની સ્પષ્ટતા કરી હતી. સોસાયટીના આગેવાનોએ તેમની સોસાયટીમાંથી તેમની સામે ફરિયાદ કરનાર રહીશોના નામો જાહેર કરવાની રજૂઆત કરી હતી. ચીફ ઓફિસરની સ્પષ્ટતા બાદ સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરના નામનો દુરુપયોગ કરનારા અને સ્ટ્રીટ લાઈટ કાઢી લઇ જનારા કર્મચારીને સસ્પેન્ડ કરવા સહિતની કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જે બાબતે ચીફ ઓફિસરે તપાસ કરવા અને તે કર્મચારી સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. વધુમાં ચીફ ઓફિસરે સોસાયટીને તમામ બંધ સ્ટ્રીટ લાઈટ અને કાઢી નાખવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની સૂચના આપી હોવાનું જણાવ્યું છે .
