- વર્ષો જૂના ફ્લેગ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવે તો રેલવે મહત્તમ ફાયદો
- કલોલ-કડી વચ્ચે ગેજ પરિવર્તન દરમિયાન આ સ્ટેશનને વિકસિત કરવું જરૂરી
- છત્રાલ માં સુવિધાયુક્ત રેલવે સેવાઓનો લાભ નથી મળ્યો
છત્રાલ ગામનો ઔદ્યોગિક ક્ષેત્રે ચારેબાજુથી વિકાસ થયો છે. છતાં તેને સુવિધાયુક્ત રેલવે સેવાઓનો લાભ નથી મળ્યો. જેને લઈ લોકોમાં કચવાટ છે. છત્રાલ સ્ટેશનને વિકસાવવા માંગ ઉઠી છે. વર્ષો જૂના આ ફ્લેગ સ્ટેશનનેની કાયાપલટ કરી સ્ટેશન માસ્ત સહિતના પુરતા સ્ટાફ સાથેનું સુવિધાયુક્ત સ્ટેશન તૈયાર કરવામાં આવે તો રેલવે વિભાગને પણ મહત્તમ ફાયદો થાય તેમ હોવાનું લોકો જણાવી રહ્યા છે.
ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક કલોલથી ઉત્તરે સાત કિમીના અંતરે આવેલા છત્રાલ ગામે અમદાવાદ-દિલ્હી (મેઈન લાઈન), કલોલ-કડી-કટોસણ રોડ-બહુચરાજી અને દિલ્હી-મુંબઈ ફ્રેટી કોરિડોર લાઈન એમ ત્રણ રેલવે લાઈનો માટે મહામૂલી કિંમતી જમીનો કેન્દ્રીય રેલવે વિભાગને આપી છે. છતાં ચારેય બાજુથી વિકસિત થયેલા છત્રાલ ગામને સુવિધાયુક્ત રેલવે સ્ટેશન મળ્યું નથી. આમ જોવા જઈએ છત્રાલ વેપારી મથક ગણાય છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાય છે.
મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે કલોલ-કડી-બહુચરાજીની રેલવે લાઈન સ્થાપિત થઈ ત્યારે છત્રાલને ફ્લેગ સ્ટેશન આપીને આવતીજતી તમામ પેસેન્જર ટ્રેનોના સ્ટોપેજનો લાભ આપ્યો હતો. વર્ષો પછી પણ ફ્લેગ સ્ટેશનની કાયાપલટ કરવાનો વિચાર નથી કરાયો. વર્ષ 2017માં કલોલ જંક્શન સાથે જોડાયેલી કડી-ફટોસણ રોડ, બહુચરાજી-રણુંજની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં ફેરવવાનો પ્રોજેક્ટ મંજુર થયો હતો. જેનો તાજેતરમાં શિલાન્યાસ કરાયો. ગેજપરિવર્તન પ્રક્રિયામાં આ રૂટને કંડલા, જોધપુર અને દિલ્હીના વૈકલ્પિક માર્ગ તરીકે વિકસાવવાનું પ્લાનીંગ કરાયું છે. આમછતાં છત્રાલને તો માત્ર ફ્લેગ સ્ટેશન તરીકે જ યથાવત રાખવામાં આવ્યુ છે. જો વર્ષો જૂના ફ્લેગ સ્ટેશનની કાયાપલટ કરી ગુડ્સ એન્ડ પાર્સલ બુકિંગ, રિઝર્વેશન, ગુડ્સ સાઈડીંગ યાર્ડ સાથે સ્ટેશન માસ્ટર સહિતના પુરતા સ્ટાફ સાથેનું સુવિધાયુક્ત સ્ટેશન તૈયાર કરવામાં આવે તો ઔદ્યોગિક વિકાસથી ધમધમતું છત્રાલ તથા રેલવે વિભાગને મહત્તમ ફાયદો થઈ શકે છે તેવું ઉદ્યોગકારોનું કહેવું છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરાશે.
