ધરપકડ:વેપારીઓનો કરોડોનો માલ લઇ ફરાર 4 ચીટરોને જાસુસની મદદથી શોધી કઢાયા

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

વેપારીઓના કરોડો રૂપિયાનો માલ લઇ ફરાર થતા આરોપીઓને પકડવા મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા ખાસ જાસુસોની નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી ચાર મોટા આરોપીઓ જુદા જુદા રાજ્યોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. તાજેતરમાં લુધિયાણાના એચ.એસ. એન્ટરપ્રાઇઝના હિમાંશુ દુઆ અને ડી.જી. ગારમેન્ટસના સાહિલ ગર્ગ વિરુદ્ધ રૂ. 76.73 લાખની ઉધારી મામલે ફરિયાદ નોંધાવી હતી. જાસુસોએ શોધી કાઢ્યું કે હિમાંશુ દુઆ દુબઇ ભાગી ગયો છે અને પિતાને મળવા લુધિયાણા આવવાનો છે. મંગળવારે વહેલી સવારે તે અમૃતસર એરપોર્ટ પર પહોંચતા તેને પકડી લેવામાં આવ્યો. બીજા મોટા કિસ્સામાં જયશ્રી ક્રિએશનના માલીક અજય સુખીયાની, સન્ની અને મહેશ સુખીયાની 25 વેપારીઓનો મળીને રૂ. 14 કરોડનો માલ લઇ ભાગી ગયા હતા. તપાસ દરમ્યાન જાસુસોએ ખુલાસો કર્યો કે ત્રણે આરોપીઓ બેગ્લોરમાં નવા પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં હતા. જાણકારીના આધારે વેપારીઓ અને પોલીસની સંયુક્ત ટીમ બેંગ્લોર પહોંચી અને આરોપીઓને ઝડપી લીધા. પકડાયેલા આરોપીને છોડાવવા રાજકીય દાદાગીરીનો પ્રયાસ
બેંગ્લોરથી પકડાયેલા ત્રણ મોટા ચીટરો 25 કાપડના વેપારી સાથે કુલ 14 કરોડની છેતરપીંડી કરી હતી. તેમની ધરપકડ બાદ નવું નાટક શરૂ થયું છે. ગોધરાથી એક રાજકીય પક્ષના હોદેદાર દોડી આવ્યા અને પોલીસ પર દબાણ કરવા લાગ્યા કે આરોપી રાજકીય વગ ધરાવે છે તેથી તેમના પર કાર્યવાહી ન કરવામાં આવે. બે જાસૂસની મદદથી ફ્રોડ કરનારા ચાર ઝડપાયા
માર્કેટમાં ઉધાર કાપડની ખરીદી કરીને ચીટરો રાતોરાત ફરાર થઈ જાય છે. પોલીસ ફરિયાદ બાદ પણ ઘણા આરોપીઓ હાથમાં આવતા નથી, તેથી અમારે જાસૂસોની મદદ લેવી પડી છે. જાસૂસ આરોપીઓની દરેક વિગતો અમને પહોંચાડે છે, જેથી પોલીસ સાથે મળીને તેમને ઝડપી શકીએ. હાલમાં મહાજનની લવાદ કમિટીમાં 78 કેસ ચાલુ છે, જેમાંથી 23 પાર્ટીઓ છેડો ફાડી ભાગી ગઈ છે. આવા ચીટરોને શોધવા માટે મહાજન દ્વારા જાસૂસી સેવા સક્રિય કરી છે. > ગૌરાંગ ભગત, પ્રમુખ, મસ્કતી કાપડ મહાજન


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *