અમરેલીમાં શાકભાજીના ભાવ અત્યારે સાતમા આસમાને પહોંચી ગયા છે. ગુવાર અને રીંગણા તો રૂપિયા 100ને પાર કિલો વેચાઈ રહ્યા છે. શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. અમરેલીના શાકમાર્કેટમાં શાકભાજીની માર્કેટ ઊંચકાતા અહીં વધુ ભાવના કારણે માર્કેટમાં ખરીદી પણ ઓછી જોવા મળે છે. લોકો જોઈએ તેટલું જ શાકભાજી ખરીદી રહ્યા છે. કેટલાક ગ્રાહકો તો શાકભાજીના ભાવ પુછીને જ જતા રહે છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. અહીં 2 થી 10 ઈંચ વરસાદે તો અમરેલી જિલ્લામાં ખેતી ક્ષેત્રે ખાના ખરાબી સર્જી છે. જેમાં શાકભાજીના પાક પણ નીષ્ફળ નીવડ્યો છે. કમોસમી વરસાદની અસર અત્યારે શાકભાજીના ભાવ પર જોવા મળે છે. કમોસમી વરસાદના કારણે પાક નીષ્ફળ નીવડતા સ્થાનિક શાકભાજીની આવક નહીવત જોવા મળે છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા બહારના જિલ્લામાંથી શાકભાજી આવી રહ્યું છે જેથી અમરેલીની શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળે છે. જેના કારણે ખરીદી પણ ઘટી છે. તો ભાવ વધતા અમરેલી લોકોમાં કચવાટ જોવા મળે છે. આ ઉપરાંત છુટક ફેરી કરતા લારીવાળા પર પહેલા કરતા શાકભાજીની ખરીદી ઓછી કરી રહ્યા છે. અમરેલીની બજારમાં શાકભાજીના ભાવમાં વધારો થતા લોકોના ખીસ્સા પર માર પડી રહ્યો છે. હજુ શાકભાજીના ભાવની સ્થિતિ સુધરતા એકાદ માસ જેટલો સમય લાગશે. રોજ 30 ગાડીની સામે 20 ગાડી જ દરરોજ શાકભાજી આવી રહ્યું છે
અગાઉ શાકમાર્કેટમાં દરરોજ 25 થી 30 ગાડી શાકભાજી આવી રહ્યું હતું. પરંતુ અત્યારે દરરોજ 20 ગાડી શાકભાજી આવી રહ્યું છે. સ્થાનિકમાં અત્યારે મોરજર પંથકનું શાકભાજી આવી રહ્યું છે. પણ અન્ય વિસ્તારમાંથી શાકભાજી આવતુ બંધ થયું છે. > હમીદભાઈ રફાઈઁ, અમરેલીમાં શાકભાજીના હોલસેલર
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સ્થાનિક શાકભાજીનો પાક નિષ્ફળ જતા અમરેલીમાં રીંગણા, ગુવાર, તુરીયા, ભીંડો અને ચોળી 100ને પાર
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
