મોરબીના રાજાશાહી સમયના નઝરબાગ રેલ્વે સ્ટેશન આસપાસ ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાયું છે, એટલું જ નહીં, રેલવે સ્ટેશનના નામ આડે પણ બાવળના ઝુંડે પેશકદમી કરી લેતાં પસાર થતી ટ્રેનમાંથી નામ પણ વાંચી શકાય તેવી હાલત રહી નથી. મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા રાજાશાહી સમયના રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ઊંચા પ્લેટ ફોર્મની માગણી બાદ પ્લેટફોર્મ ઊંચું તો કર્યું હતું પરંતુ હવે રેલવે તંત્ર સ્ટેશનની સાફ સફાઇ અને જાળવણીમાં ઊણું ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રેલવે સ્ટેશન આસપાસ બાવળ અને ઝાડી, ઝાંખરાના ઝુંડ ઉગી નીકળ્યા છે. જેથી કરીને અહીં નશાખોરો અને આવારાતત્વોને લપાઇને પડ્યા રહેવાની મોજ પડી જાય છે. જેથી કરીને મુસાફરોની હાલાકી વધી રહી છે. બહેનો દીકરીઓને પસાર થવું મુશ્કેલીભર્યું બની રહે છે. અહીં કાયમી આરપીએફ જવાન મુકવાની માગણી પહેલેથી કરવામાં આવી રહી છે તે પણ રેલવે તંત્ર પુરી કરી શક્યુ નથી.
રેલ્વે સ્ટેશનની હાલત દયનીય:મોરબીમાં રાજાશાહી સમયના રેલવે સ્ટેશનના નામ આડે બાવળના ઝુંડનું વર્ચસ્વ
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
