- સંવેદનશીલ વિસ્તારોમાં નેત્રમના કેમેરા બાજ નજર રાખશે
- અંધશ્રદ્ધા ફેલાવતો મૌલવી હુસેનાબાદમાં રહેતા હોવાનું ખૂલ્યું
- મૌલવીની પોલીસે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી
હિંમતનગર શહેરના અનેક વિસ્તારોમાં શાંતિમાં ખલેલ પહોંચાડવાના આશયથી કેટલાક અસામાજીક તત્વોએ મહત્વની ભૂમિકા ભજવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ત્યારે તોફાનોના બીજા દિવસે મહેતાપુરા નજીક આવેલ હુસેનાબાદમાં રહેતા એક મૌલવીએ કેટલાક તોફાનીઓને બાઈક પર તલવારો સાથે બોલાવીને દેકારો મચાવવાનો હિન પ્રયાસ કર્યાની દિશામાં પોલીસ તંત્ર દ્વારા ગુપ્ત રીતે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જેના કારણે ભવિષ્યમાં અનેક રહસ્યો સામે આવે તેવી સંભાવના નકારી શકાતી નથી.
બાઈકો પર તલવારો સાથે બોલાવીને દેકારો મચાવવાનો પ્રયાસ કર્યો
આ અંગે પોલીસ સૂત્રોમાંથી તથા મહેતાપુરા અને બ્રહ્માણીનગરમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગરમાં થયેલા તોફાનોના બીજા દિવસે રાત્રે હુસેનાબાદમાં રહેતા અને ધાણધા ફાટક પાસેની રેલવેની જમીનમાં દબાણ કરીને કેટલાક લોકોને બોલાવી ગેરમાર્ગે દોરી રહેલા એક મૌલવીએ શહેરમાં વધુ અશાંતિ ફેલાય તે માટે હુસેનાબાદ અને હસનનગરમાંથી કેટલાક એક જ કોમના યુવાનોને બાઈકો પર તલવારો સાથે બોલાવીને દેકારો મચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને સ્થાનિકોમાં પણ ભયની લાગણી ફેલાઈ હતી.
30થી વધુ મકાનો ભાડે પણ આપી દીધા
ઉલ્લેખનીય છે કે માલીવાડા ગ્રામ પંચાયતના એક પદાધિકારીએ આ વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદે મકાનો ઉભા કરીને તે પૈકીના 30થી વધુ મકાનો ભાડે પણ આપી દીધા છે. તેમ છતાં સંલગ્ન વિભાગ ધ્વારા કેમ કોઈ કાર્યવાહી કરીને આ દબાણો દુર કરવાની તસ્દી લેવાઈ નથી. તે પણ યક્ષ પ્રશ્ન છે. ધાણધા ફાટક પાસેની સરકારી જમીનમાં છેલ્લા ત્રણેક વર્ષથી જે દબાણ કરાયું છે ત્યાં દોરાધાગા કરી અંધશ્રધ્ધાને આગળ ધપાવતા મૌલવી છેલ્લા કેટલાક વર્ષોથી હુસેનાબાદમાં આવેલ એક સ્થળ નજીક રહે છે.
હિંમતનગરના સંવેદનશીલ વિસ્તારોમાં નેત્રમના કેમેરા બાજ નજર રાખશે
હિંમતનગરના સંવેદનશીલ વિસ્તારમાં થતી હિલચાલો પર પોલીસના તાબામાં આવેલા નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સત્વરે સીસીટીવી કેમેરા લગાવવાનું પોલીસ તંત્ર દ્વારા નક્કી કરાયું છે. જેને લીધે આ સંવેદનશીલ વિસ્તારોમાં જરૂર પડે કોઈ અનિચ્છનીય ઘટના બને ત્યારે પોલીસને તપાસ કરવા તથા મુળ સુધી પહોંચવા માટે કેમેરાના ફુટેજ ખુબજ ઉપયોગી બની શકશે. સંવેદનશીલ વિસ્તારોમાં કેટલાક તત્વો સામાન્ય બાબતને મોટુ સ્વરૂપ આપીને દાદાગીરી કરી ઝઘડા ઉભા કરે છે. ત્યારે પોલીસ તંત્રનો કેમેરા લગાવવાનો નિર્ણય એકંદરે ખુબજ આર્શીવાદ રૂપ બનશે. સાથો સાથ કોઈ મોટી દુર્ઘટના બને કે અકસ્માત થાય ત્યારે પણ ઘટનાની વિગતો મેળવવામાં ખુબજ સરળતા રહે તેમ છે અને ટ્રાફીક જામ થાય ત્યારે પણ સત્વરે પોલીસની ટીમને મોકલી સમસ્યાનું નિવારણ કરી શકાશે. મોડી રાત્રે ભેદી હિલચાલ પર આ સીસીટીવી કેમેરા બાજનજર રાખશે.
