શ્રીનાથ પીઠના મહંત પરમ પૂજ્ય 1008 જિતેન્દ્રનાથજી મહારાજ (દેવનાથ મઠ, અંજન-અમરાવતી, મહારાષ્ટ્ર) શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ ખાતે પધાર્યા હતા. તેઓ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને ખાસ મળવા આવ્યા હતા. સમગ્ર ભારતવર્ષમાં નાથપંથ અત્યંત પ્રસિદ્ધ છે. નાથપંથની ત્રણ મુખ્ય ધારાઓ છે: વૈષ્ણવી, શૈવી અને બ્રાહ્મી નાથ પરંપરા. ભગવાન દત્તાત્રેયમાં આ ત્રણેય પરંપરાનો સંગમ થયેલો છે. પૂજ્ય જિતેન્દ્રનાથજી મહારાજ આ ત્રિધારા નાથ પરંપરાના અગ્રણી મહંત છે અને શ્રીવૈષ્ણવનાથ પરંપરાના પરમ ઉપાસક છે. તેઓ વિશ્વમાંગલ્ય ટ્રસ્ટ દ્વારા મોટા પાયે વિવિધ સામાજિક સેવાપ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને સતત રાષ્ટ્રસેવામાં જોડાયેલા રહે છે. તેમના અનુયાયીઓ લાખોની સંખ્યામાં છે.પૂજ્ય સ્વામીજી સાથે રહીને તેમણે સમગ્ર SGVP કેમ્પસનું દર્શન કર્યું હતું. સંસ્થા દ્વારા થઈ રહેલી શૈક્ષણિક અને સામાજિક સેવાઓ નિહાળી તેમણે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો. કેમ્પસમાં રહીને અભ્યાસ કરતા દર્શનમ્ સંસ્કૃત વિદ્યાલયના ઋષિકુમારો સાથે સંવાદ કરીને તેઓ અતિ પ્રસન્ન થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ SGVP સંસ્થાન મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું છે અને અનેક ગુરુકુળ તેમજ પોતાની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સનાતન વૈદિક હિન્દુ ધર્મની સેવા કરી રહ્યું છે.”
શ્રીનાથ પીઠના મહંત SGVP ગુરુકુલ પધાર્યા:માધવપ્રિયદાસજી સ્વામી સાથે મુલાકાત કરી, સેવાઓ નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
