અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને પેટ્રોલપંપમાં નોકરી કરતા યુવકે મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મૃતકના કબજામાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તે જ્યાં નોકરી કરતો હતો ત્યાંના સાહેબ રશ્મિત સિંહ અને હાર્દિક પટેલના ત્રાસના કારણે જિંદગી ટૂંકાવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. મૃતક યુવાને પોતાની પત્નીને ન્યાય અપાવવા સુસાઈડ નોટમાં વિનંતી કરી છે. પરિવારજનોએ ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. તો બીજી તરફ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સુસાઈડ નોટને FSL મોકલવા તજવીજ હાથ ધરી છે. મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેન હેઠળ પડતું મૂકી જિંદગી ટૂંકાવી
અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કિરીટ પંચાલ નામના યુવકે 18મી નવેમ્બરે સાંજના સમયે મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેન હેઠળ પડતું મૂકી જિંદગી ટૂંકાવી લીધી હતી. ઘટનાના પગલે તપાસ માટે પહોંચેલી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુસાઈડ નોટમાં પોતાના સાહેબ અને અન્ય એક યુવક સામે આક્ષેપ
કિરીટ પટેલની આત્મહત્યા બાદ તેના કબજામાંથી જે સુસાઈડ નોટ મળી આવી છે તેમાં લખ્યું છે કે, હું પંચાલ કિરીટ કુમાર હેમરાજભાઈ મરવા જઈ રહ્યો છું. મારા ઘરે દીકરી હોવા છતાં મારે મરવું પડે એમ છે. હું મારા સાહેબના ત્રાસથી મરી રહ્યો છું. મારા સાહેબનું નામ રશ્મિત સિંઘ ગુરુદત્ત છે અને એક બીજા ભાઈ હાર્દિકભાઈ પટેલ છે. જે વાઈડ એંગલની બિલ્ડીંગના છે. જે ભાઈ પૈસા માટે મને રોજ ટોર્ચર કરે છે અને બીજા સાહેબ મારા ટોર્ચર કરે છે. મને ઓફિસમાં લઈ જઈને પટ્ટાથી માર પણ માર્યો હતો. અને હવે આજે મારી પાસે કોઈ રસ્તો રહ્યો નથી. મારી પત્નીને ન્યાય અપાવવા વિનંતી. આપનો -કિરીટ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો
કિરીટ પટેલની આત્મહત્યા મામલે તેના સાળી જાનકી પંચાલે જણાવ્યું હતું કે, કાલે જે ઘટના બની હતી એ મારા જીજાજી થાય. કાલે મણિનગરમાં રેલવે સ્ટેશન ઉપર આ ઘટના બની છે. એમના પેટ્રોલપંપ વાળા તેને માનસિક-શારીરિક ટોર્ચર કરતા હતા. અમારી એટલી જ માગ છે કે આગળની કાર્યવાહી ઝડપી કરી અમને ન્યાય મળે. પેટ્રોલપંપ વાળા છે તે ઘરવાળાને પણ મારવાની ધમકી આપતા હતા એટલે મારા જીજાજીએ અંતિમ પગલું ભર્યું છે. મારા જીજાજીને ઓફિસમાં પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો. જ્યારે મૃતકના સાળા મહેલુ પંચાલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારે કોઈ અંતિમ સંસ્કાર કરવાની કાર્યવાહી નથી કરવી. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી FSLમાં મોકલવા તજવીજ હાથ ધરી
ખોખરા PI બી. પી. સાવલિયાએ જણાવ્યું હતું કે, આપઘાત મામલે હાલ પોલીસે અકસ્માતે મોતનું ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેને FSL માં મોકલી તપાસ કરવામાં આવશે. તપાસના અંતે પુરાવા મળતા જવાબદાર સામે ગુનો નોંધવામાં આવશે.
'હું મારા સાહેબના ત્રાસના કારણે મરી રહ્યો છું':પેટ્રોલ પંપના કર્મચારીએ મણિનગર રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરી, પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
