- બંને સાધુઓ દ્વારા બાળકોની મતિ ફેરવવાનું કારસ્તાન
- સાધુઓ દ્વારા પરિવાર વિરૂધ્ધ ઉશ્કેરતા હોવાનો પિતા દ્વારા આક્ષેપ કરાયો
- એક બાળકને બગસરા મંદિરમાંથી ભગાડી દેવામાં આવ્યો હતો
બગસરા : બગસરા શહેરમાં હાલમાં નવ નિર્માણ પામેલું સ્વામી મંદિર જે પહેલેથી જ વિવાદ સાથે સંકળાયેલુ રહ્યું છે ત્યારે આજે ફરી આ સ્વામિનારાયણ મંદિરનો વિવાદ સામે આવ્યો હતો. બગસરા સ્વામિનારાયણ મંદિરનાં બે સાધુએ એક બાળકને સાધુ બનાવવા બ્રેઈન વોશ કરી શહેરમાંથી ભગાડયો હતો. આ બાબતની જાણ બાળકના પિતાને થતા તેણે કોઈ રીતે બાળકનો પત્તો મેળવી લીધો હતો. છતાં પણ આ બાળકને આ સાધુઓ દ્વારા પરિવાર વિરૂધ્ધ ઉશ્કેરતા હોવાનો પિતા દ્વારા આક્ષેપ કરાયો હતો. બગસરા શહેરમાં સ્વામી નારાયણ મંદિરમાં બાળકોની શિબિરો ચાલતી હોય છે અને અનેક પ્રકારની કથા અને ભજનો ચાલતા હોય છે ત્યારે આ સ્વામિનારાયણ મંદિરના બે ચૈતન્યસ્વામી તેમજ સદ્દગુણ સ્વામી દ્વારા બાળકોનુ બ્રેઈન વોશ કરી સાધુ બનાવવા માટે ઉશ્કેરવામાં આવતા હતા. બાળકોને એવા પાઠ ભણાવવામાં આવતા હતા કે તમારા માતા પિતા એ તમારા માતા પિતા છે જ નહિ તમારું આ દુનિયામાં સ્વામિનારાયણ સિવાય કોઈ છે જ નહિ આ રીતે આ બંને સાધુઓ દ્વારા બાળકોની મતિ ફેરવવાનું કારસ્તાન સામે આવ્યું છે. ત્યારે એક બાળકને બગસરા મંદિરમાંથી ભગાડી દેવામાં આવ્યો હતો. તે બાળકના પિતા દ્વારા સ્વામીનારાયણ મંદિરે જઈ અનેક આજીજી કરી હતી પરંતુ આ બાળકનો પત્તો આપ્યો ન હતો.
બે-બે વખત ભાગી ગયેલ બાળકને પિતાએ બચાવ્યો
આ બાળકના પિતા દ્વારા બે-બે વાર ભાગી જતાં પોતાના બાળકને બચાવ્યો હતો અને તેમની પાસેથી મોબાઈલ પણ જપ્ત કર્યો હતો. આ મોબાઇલમાં રૂપિયા સાથે સ્વામીનું કોલ રેકોર્ડીંગ પણ સામે આવ્યું છે.
