સહકારી ક્ષેત્ર માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર મિલના માજી પ્રમુખ રમણભાઈ સુખાભાઈ પટેલનું નિધન થયું છે. સહકારી અને શૈક્ષણિક આલમમાં તેમના નિધનથી શોકનો માહોલ છવાયો છે.
અમેરિકાથી પરત આવ્યા બાદ તબિયત બગડી
પ્રાપ્ત માહિતી અનુસાર, રમણભાઈ પટેલ અમેરિકાથી પરત આવ્યા બાદ તેમની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.
સહકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં યોગદાન
રમણભાઈ પટેલ માત્ર બારડોલી સુગરમિલના પ્રમુખ પૂરતા સીમિત નહોતા, પરંતુ તેઓ બારડોલીની સુગરમિલ સહિત અનેક સહકારી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સક્રિયપણે કાર્યરત હતા. સહકારી પ્રવૃત્તિઓમાં તેમનું યોગદાન અમૂલ્ય માનવામાં આવતું હતું. તેમના નિધનથી બારડોલીના સહકારી વિભાગને મોટી ખોટ પડી છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી આવતીકાલે સવારે 8:30 કલાકે નીકળશે.
