અરવલ્લી જિલ્લામાં મોડાસા પાસે ચાલુ બસે ડ્રાઈવરને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. પરંતુ તેમણે સમયસુચકતા દાખવી બસને રસ્તામાં આવતા ડેપોએ થોભાવી દઈ મુસાફરોના જીવ બચાવ્યા હતા.
મોડાસાથી ઢીમડા જતી એસટી બસના ડ્રાઈવર જયદિપસિંહ ચંપાવત આજે સવારે બસને લઈને રૂટ પર નીકળ્યા હતા. બસમાં 7 જેટલા મુસાફરો સવાર હતા. મોડાસાથી નીકળ્યા બાદ ચાલુ બસે તેમને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. હૃદયરોગનો હુમલો છતાં તેમણે મેઘરજ એસટી ડેપો સુધી બસ હંકારી મુસાફરોના જીવ બચાવ્યા હતા. ડેપો ખાતે 108 બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતુ. હૃદયરોગના હુમલામાં એસટીના કર્મચારીનું મૃત્યુ નિપજ્તા કર્મીઓમાં શોકની લાગણી પ્રસરી હતી.
